Saturday, November 28, 2015

એન્ટોઈન લેઈરીસનો આતંકવાદીઓને ખુલ્લો પત્ર


પેરીસમાં તાજેતરમાં થયેલા આતંકી હૂમલામાં જેણે પોતાની વહાલસોયી પત્ની અને પોતાના દોઢ વર્ષનાં પુત્રની મા ગુમાવી તેવા ફ્રેન્ચ નવયુવાન એન્ટોઈન લેઈરીસે આઈ.એસ.આઈ.એસ. (ISIS)નાં આતંકવાદીઓને ખુલ્લો હ્રદયસ્પર્શી અને સંવેદનશીલ પત્ર ફેસબુક પોસ્ટ દ્વારા લખ્યો જેનો અનુવાદ આજે ઇન્ટરનેટ કોર્નરમાં વાંચીએ :

" શુક્રવારે રાત્રે,તમે એક અસામાન્ય જીવની હત્યા કરી - મારા જીવનના પ્રેમની - મારા પુત્રની માતાની - પણ તમને મારી નફરત મળશે નહિ. હું જાણતો નથી કે તમે કોણ છો અને મને જાણવાની ખેવના પણ નથી. તમારો આત્મા મરી પરવાર્યો છે.જો તમારા કહ્યા મુજબ તમે અંધાધૂંધ હત્યાઓ ઇશ્વર માટે કરી હોય તો જેટલી ગોળીઓ તમે મારી પત્નીના શરીરમાં ધરબી દીધી એટલા જખમો ઇશ્વરના હ્રદય પર પડ્યા હશે.

આથી ના, હું મારી નફરતની ભેટ તમને નહિ આપું.  તમે ઇચ્છો છો કે તમને  નફરત અને ગુસ્સાભર્યો  પ્રતિભાવ મળે,પણ એના દ્વારા તો હું પણ તમારા જેવી ભ્રામક અજ્ઞાનતાનો શિકાર બની જઈશ,

જેણે તમને હાલમાં તમે જેવા છો એવા (ક્રૂર,ઘાતકી અને અમાનવીય) બનાવ્યા છે. તમે મને ડરાવવા ઇચ્છો છો,મારા દેશબાંધવો પ્રત્યે હું શંકાની નજરે જોઉં એમ ઇચ્છો છો,મારી સુરક્ષા માટે મારી આઝાદી હું ત્યાગી દઉં એમ ઇચ્છો છો.(પણ અહિં)તમે હરી ગયા (છો).

મેં મારી પત્નીને આજે સવારે જોઈ,અનેક દિવસો અને રાતોના ઇંતેજાર બાદ. તે આજે પણ એટલી સુંદર દેખાતી હતી જેટલી તે ગયા શુક્રવારની રાતે ઘર છોડ્યા પહેલા દેખાતી હતી, જેટલી તે ૧૨ વર્ષ પહેલા અમે પહેલી વાર મળ્યા હતા ત્યારે દેખાતી હતી. બેશક હું અત્યારે અનુભવાતી વેદનાને કારણે ધ્વસ્ત થઈ ગયો છું, એમાં તમારો નાનકડો વિજય થયો છે, પણ વેદના ચોક્કસ ક્ષણિક હશે. હું જાણું છું કે મારી પત્ની રોજ મારી સાથે હશે અને અમે ફરી મુક્ત પ્રેમના

એવા સ્વર્ગમાં વિહરીશું જ્યાં તમને પ્રવેશ (ક્યારેય) નહિ મળે.

અમે બે છીએ,હું અને મારો પુત્ર પણ અમે આખા જગતની બધીજ લશ્કરી ટુકડીઓના બળ કરતા પણ વધુ બળવાન છીએ. મારી પાસે હવે તમારા માટે વેડફવા એક પણ વધારાની ક્ષણ નથી.મારે મેલ્વીલ પાસે જવાનું છે જે કદાચ હમણાં પોતાની નિદ્રા પૂરી કરી જાગ્યો હશે. હજી માત્ર સત્તર મહિનાનો છે. હંમેશની જેમ તેનું ખાવાનું ખાશે અને પછી અમે નિયમ મુજબ સાથે થોડું રમીશું.અને તેની સમગ્ર જિંદગી સુધી નાનકડો છોકરો સુખી અને આઝાદ બની તમને ડરાવ્યા કરશે. કારણકે ના, તમે એની પણ નફરત નહિ પામો.

('ઈન્ટરનેટ પરથી')

Thursday, November 26, 2015

બે ઘોડા


મારા ઘરથી થોડે દૂર આવેલા એક વાડામાં બે ઘોડા રહેતા હતા.દૂર થી જુઓ તો તમને બંને ઘોડા અન્ય ઘોડાઓ જેવા સામાન્ય દેખાય. પણ જો તમે નજીક જઈ ધ્યાન થી જુઓ તો માલૂમ પડે કે તેમનામાં કંઈક નોખું તત્વ છે...
એક ઘોડાની આંખ ધ્યાનથી જુઓ તો જણાઈ આવશે કે તે અંધ છે.તેના દયાળુ પાલક માલિકે તેને ત્યજી દેતા અન્ય ઘોડા સાથે રાખવાનો નિર્ણય કર્યો અને તેનું જતનથી પાલન કર્યું.
જો તમે વધુ થોડું ધ્યાન આપશો તો જણાઈ આવશે કે એક ઘંટનો રણકાર ક્યાંકથી સતત સંભળાઈ રહ્યો છે. ફરી થોડા વધુ ધ્યાનથી જોશો તો જણાઈ આવશે કે બે ઘોડામાંથી નાના ઘોડાના ગળામાં બાંધેલા એક ઘંટમાંથી ધ્વનિ આવી રહ્યો છે. ઘંટનો અવાજ સાંભળી મોટા અંધ ઘોડાને ખ્યાલ આવે કે નાનો ઘોડો ક્યાં છે અને તે સતત તેને અનુસરે. તમે બે મિત્રોને સતત થોડા સમય સુધી જોયા કરશો તો તમને જણાશે કે નાનો ઘંટ વાળો ઘોડો મોટા અંધ ઘોડાનું ધ્યાન રાખે છે. અંધ ઘોડો સતત તેના કાન સરવા રાખી ઘંટના સ્વરની દિશામાં ચાલ્યો જાય છે એવા વિશ્વાસ સાથે કે તે ક્યારેય ગેરમાર્ગે નહિ દોરાય.
જ્યારે ઘંટ વાળો ઘોડો રોજ સાંજે પોતાના વાડા ભણી પાછો ફરતો હોય ત્યારે થોડી થોડી વારે ઉભો રહી પાછુ ફરી ખાતરી કરી લે છે કે તેનો અંધ મિત્ર એટલો બધો પાછળ તો નથી રહી ગયો ને કે તેને ઘંટનો નાદ સંભળાય.
બે ઘોડાઓના માલિકની જેમ ઇશ્વર પણ આપણને આપણામાં રહેલી ત્રુટિઓ કે મુશ્કેલીઓ હોય તેવે સમયે કે આપણે સંપૂર્ણ નથી એવા કારણથી છોડી કે તરછોડી દેતો નથી. આપણું સતત ધ્યાન રાખતો હોય છે અને જરૂર હોય તે વખતે આપણી મદદ પણ કરી લેતો હોય છે...
ક્યારેક આપણે વાર્તામાં વર્ણવેલા અંધ ઘોડા સમાન હોઇએ છિએ જેનું માર્ગદર્શન ઇશ્વરે આપણા જીવનમાં જે તે સમયે મૂકેલી વ્યક્તિઓના ગળામાં બાંધેલા અદ્રષ્ય ઘંટ કરે છે. તો ક્યારેક આપણે પોતાના ગળામાં અદ્રષ્ય ઘંટ પહેરી અન્યોનું માર્ગદર્શન કરતા હોઇએ છિએ.
સારા અને સાચા મિત્રો એવા માર્ગદર્શક હોય છે જે આપણને કદાચ સતત દેખાતા નથી પણ તમને વિશ્વાસ હોય છે કે તેઓ તમારા માટે, તમારી સાથે હાજર હોય છે.
તમે મારા અને હું તમારા ઘંટનો નાદ સતત સાંભળતા રહીએ અને યાદ રાખીએ જરૂર હોય તેના કરતા પણ વધુ ઉદારતા દાખવવાનું...
તમે જેને પણ મળો તે પોતાના અંગત સંઘર્ષો સામે લડી રહેલ હોય છે.

સાદું અને સરળ જીવન જીવો...
ઉદારતાથી પ્રેમ કરો...
ખૂબ જતન પૂર્વક પ્રિયજનોની કાળજી રાખો અને
સદાયે ઉદારતાભર્યાં સદવચનો બોલો,મધુર વાણી ઉચ્ચારો...

('ઈન્ટરનેટ પરથી')