Monday, December 31, 2012

બોક્સર મોહમ્મદ અલીની તેની દીકરીને સલાહ

આ પ્રસંગ એક વાર, વિશ્વવિખ્યાત બોકસર મોહમ્મદ અલીની દીકરીઓ તેમને મળવા, અભદ્ર કહી શકાય તેવા વસ્ત્રો પહેરી આવી ત્યારે બન્યો હતો.


આ વાત, તેમની એક દીકરીના મોઢે જ કહેવાયેલી સત્ય વાત છે:

જ્યારે અમે પિતાજી પાસે પહોંચ્યા, અમારો શોફર મને અને મારી નાની બહેન લૈલાને પિતાજીના કક્ષ સુધી દોરી ગયો. હંમેશની જેમ પિતાજી અમને ડરાવવા બારણા પાછળ સંતાઈને ઉભા હતા. અમે ધરાઈ ધરાઈને એકમેકને ભેટ્યા અને તેમણે પિતૃવાત્સલ્ય અને અમે પિતાપ્રેમ વ્યક્ત કરતાં, અનેક ચુંબનોની આપલે કરી. અમારા પિતાએ ધ્યાનથી અમારૂં નિરીક્ષણ કર્યું. પછી તેમણે મને પોતાના ખોળામાં બેસાડી અને હેતપૂર્વક મારા માથે હાથ ફેરવતા એવું કંઈક કહ્યું જે હું જીવનમાં ક્યારેય ભૂલી નહિ શકું.

તેમણે સીધું મારી આંખોમાં જોતા કહ્યું : "હના,ઇશ્વરે આ સૃષ્ટિમાં જે કંઈ પણ મૂલ્યવાન બનાવ્યું છે તે સારી રીતે ઢંકાયેલું અને પ્રાપ્ત કરવું મુશ્કેલ એવું હોય છે.

હીરા ક્યાં હોય છે?? જમીનમાં ખૂબ ઉંડે,ઢંકાયેલા અને સુરક્ષિત.

રત્નો આપણને ક્યાંથી મળે છે?સમુદ્રના તળીયેથી. તે પણ સુંદર મજાના છીપમાં ઢંકાયેલ અને સુરક્ષિત હોય છે.

સોનું ક્યાંથી મળે છે? ખાણમાં ઉંડેથી. તે ખડકોના થર પર થર નીચે ઢંકાયેલ હોય છે. તમારે આ બધી કિંમતી ચીજ વસ્તુઓ પ્રાપ્ત કરવા મહેનત કરવી પડે છે.

પછી તેમણે ગંભીર આંખે મારી સામે જોયું અને બોલ્યા : "તારું શરીર પવિત્ર છે.તું હીરા અને રત્નો કરતાંયે વધુ મૂલ્યવાન છે અને આથી જ તારા શરીરે પણ ઢંકાયેલા હોવું જરૂરી છે."

સ્રોત : More Than A Hero: Muhammad Ali's Life Lessons Through His Daughter's Eyes પુસ્તક માંથી સાભાર

('ઈન્ટરનેટ પરથી')

Saturday, December 22, 2012

શ્રીમદ્દ ભગવદગીતા

વાચક મિત્રો આવતી કાલે ગીતા જયંતિ છે. આ નિમિત્તે આજે ઇન્ટરનેટ કોર્નરમાં આ ભારતીય મહાગ્રંથ વિશે વિશ્વની મહાન વિભૂતિઓએ શા અભિપ્રાય વ્યક્ત કર્યા છે તે જોઇએ.


આલ્બર્ટ આઈન્સ્ટાઈન

જ્યારે હું ભગવદ ગીતા વાંચું છું અને ઇશ્વરે કઈ રીતે આ વિશ્વનું સર્જન કર્યું તે વિશે ચિંતન કરું છું ત્યારે મને બીજું બધું નિરર્થક અને છીછરું જણાય છે.

અલ્ડોસ હક્સલી

માણસ જાતને મૂલ્યોનો સાચો અર્થ સમજાવતું આધ્યાત્મિક ઉત્ક્રાંતિનું સૌથી સચોટ અને વ્યવસ્થિત વિધાન એટલે ભગવદગીતા.શાશ્વત તત્વજ્ઞાનનો અત્યાર સુધી પ્રકાશિત થયેલો સૌથી સ્પષ્ટ અને સવિસ્તાર ઉપસંહાર એટલે ભગવદ ગીતા અને તેથી જ તે માત્ર ભારત માટે જ નહિ પણ સમસ્ત માનવ સમાજ માટે અતિ મહત્વનો ગ્રંથ છે.

મહાત્મા ગાંધી

જયારે શંકાઓ મને ઘેરી વળે છે,જ્યારે હું નિરાશાઓની ગર્તામાં ધકેલાઈ જાઉં છું અને જ્યારે દૂર ક્ષિતિજે જ્યારે મને આશાનું એક પણ કિરણ નજરે ચડતું નથી તેવે સમયે હું ભગવદ ગીતાનો આશરો લ ઉં છું અને મને તેનાથી શાતા મળે છે,આરામ મળે છે અને એ દુ:ખો ભરી પરિસ્થિતિમાં પણ મારા મુખ પર સ્મિત છવાઈ જાય છે.જેઓ ગીતાનું મનન કરે છે તેમને રોજેરોજ તેમાંથી કંઈક નવો અર્થ, નવો તાજો આનંદ મળે છે.

હેન્રી ડેવિડ થોરો

રોજ સવારે હું મારી ચેતનાને ભગવદ ગીતાના વિશાળ અને બ્રહ્માંડનું સાચું જ્ઞાન આપનારી તર્કગંગામાં ડૂબકી મરાવું છું.તેની સરખામણીમાં મને આજનું આધુનિક જગત અને તેનું અર્વાચીન સાહિત્ય ક્ષુલ્લક અને વામણું લાગે છે.

ડો. આલ્બર્ટ સ્વિત્ઝર

ભગવદ ગીતાનો તેના પ્રભુ પ્રત્યેના સમર્પણને લીધે મનુષ્યના આત્મા ઉપર ઘેરો પ્રભાવ છે જે કર્મોમાં પરિણમે છે.

કાર્લ જંગ

ભગવદ ગીતામાં કરાયેલ ઉલટા વૃક્ષની મનુષ્ય સાથે કરેલી સરખામણી આજના યુગમાં સાવ સાચી જણાય છે.પ્લેટોએ પણ આ વૈદિક સિદ્ધાંતની પુષ્ટી કરતાં કહ્યું છે કે આપણે એક લૌકિક નહિ પણ સ્વર્ગીય/ પરાલૌકિક ગ્રહ છીએ.ભગવદ ગીતાના પંદરમાં અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણેે જે કહ્યું છે તેની સાથે આ વાત તદ્દન સુસંગત છે.

હર્મન હેસ્સી

ભગવદ ગીતા ચમત્કારિક રીતે ખૂબ સુંદરતા અને સહજતાથી જીવનના સાચા રહસ્યોને છતા કરે છે જે તર્કશાસ્ત્રની સુગંધને ધર્મમાં ભેળવે છે

રાલ્ફ વાલ્ડો એમરસન

ભગવદ ગીતાને કારણે મને એક સુંદર નવો દિવસ મળ્યો છે.આ પ્રથમ એવું પુસ્તક હશે જે વાંચીને એમ લાગે કે જાણે આખું એક સામ્રાજ્ય આપણી સાથે વાત કરતું હોય.કંઈ જ નાનું નહિ,નિરર્થક નહિ,પણ વિશાળ,શાંત,શાશ્વત,એક પ્રાચીન બુદ્ધિશાળી અવાજ આજના અને આવનારા દરેક યુગના સર્વે પ્રશ્નો નો જાણે ઉત્તર આપે છે.


('ઈન્ટરનેટ પરથી')

Saturday, December 15, 2012

કાચબાકથા

કાચબાઓના એક કુટુંબે એક વાર પિકનિક પર જવાનું નક્કી કર્યું. કાચબાઓ મૂળ સ્વભાવે જ ધીમા હોવાને લીધે આ પિકનિકની પૂર્વતૈયારીમાં જ તેઓએ સાત વર્ષ કાઢી નાંખ્યા. ત્યારબાદ આખરે તેમણે ઘર છોડ્યું અને બીજું એક વર્ષ પિકનિક માટે યોગ્ય ઠેકાણુંશોધવામાંકાઢીનાંખ્યું. આખરે બીજે વર્ષે તેમને તેમની નિર્ધારીત પિકનિક માટે આદર્શ સ્થળ મળી ગયું!


છ એક મહિના તેમણે એ વિસ્તારને ચોખ્ખો બનાવવામાં,માલસામાન ખોલવામાંને બીજી વ્યવસ્થામાં વિતાવી દીધાં. પણ ત્યારે તેમને ભાન થયું કે તેઓ મીઠું ઘરે જ ભૂલી ગયાં હતાં. હવે મીઠા વગરનું ખાવાનું અને ખાધા વગરની પિકનિક તે હોઈ શકે ભલા? લાંબી ચર્ચાવિચારણાને અંતે એવો નિર્ણય લેવામાં આવ્યો કે તેમના કુટુંબનો સૌથી યુવાન કાચબો મીઠું લઈ આવવા ઘરે પાછો જાય.

તે ધીમા કાચબા પરિવારનો સૌથી ઝડપી સભ્ય હોવા છતા તેણે ફરિયાદ કરી, કજિયા કર્યા અને તે પોતાની ઢાલ-કવચમાં ખૂબ રડ્યો-કકળ્યો. આખરે એક શરત પર તે પાછો ઘરે જવા તૈયાર થયો- જ્યાં સુધી તે પાછો ન ફરે ત્યાં સુધી પરિવારનું અન્ય કોઈ સભ્ય કંઈ જ ખાશે નહિં. સૌએ આ શરત મંજૂર રાખી અને એ યુવાન કાચબાભાઈ મીઠું લઈ આવવા ઘર તરફ પાછા જવા રવાના થયાં.

આ ઘટનાને ત્રણ વર્ષ વીતી ગયાં પણ મીઠું લેવા ગયેલો યુવાન કાચબો પાછો ફર્યો નહિં. પાંચ વર્ષ.... છ વર્ષ...અંતે સાત વર્ષ વિતી ગયા બાદ કુટુંબનો સૌથી વયસ્ક કાચબો પોતાની ભૂખ રોકી શક્યો નહિં. તેણે જાહેર કર્યું કે તે હવે ખાવા જઈ રહ્યો છે અને તેણે સેન્ડવિચનું પેકેટ ખોલવા માંડ્યું. તે જ ઘડીએ અચાનક એક ઝાડપાછળથી પેલો મીઠું લેવા ગયેલો સૌથી યુવાન કાચબો બહાર દોડીઆવ્યોઅનેબોલ્યો:"જો….જો…..હું નહોતો કહેતો કે તમે મારી રાહ નહિ જ જુઓ...! હવે હું મીઠું લેવા નહિ જાઉં!"

ઉપસંહાર: બીજાઓ આપણી અપેક્ષામાં ખરાં ઉતરે તેની રાહ જોવામાં જ આપણાંમાંના ઘણાં જીવન વ્યતિત કરી દેતા હોય છે. આપણે પોતે જે, ન કરતા હોઈએ તે અન્યો કરે છે કે નહિં એ અંગે આપણે વધુ પડતાં ચિંતિત હોઈએ છીએ.

(‘ઇન્ટરનેટ પરથી’)

દીકરો અને દીકરી

દીકરો વારસ છે તો દીકરી પારસ છે!


દીકરો વંશ છે તો દીકરી અંશ છે!

દીકરો આન છે તો દીકરી શાન છે!

દીકરો તન છે તો દીકરી મન છે!

દીકરો માન છે તો દીકરી સ્વમાન છે!

દીકરો સંસ્કાર છે તો દીકરી સંસ્કૃતિ છે!

દીકરો આગ છે તો દીકરી બાગ છે!

દીકરો દવા છે તો દીકરી દૂવા છે!

દીકરો ભાગ્ય છે તો દીકરી વિધાતા છે!

દીકરો શબ્દ છે તો દીકરી અર્થ છે!

દીકરો ગીત છે તો દીકરી સંગીત છે!

દીકરો પ્રેમ છે તો દીકરી પૂજા છે!

દીકરો વાદળ છે અને વરસે છે તો

દીકરી ધરતી છે અને તરસે છે!

દીકરો એક પરિવારને તારે છે તો

દીકરી દસ પરિવારને તારે છે!!

('ઈન્ટરનેટ પરથી')

Sunday, December 2, 2012

સાચા અને સારા સંબંધો

'પીનટ્સ' (PeaNuts) નામની પ્રખ્યાત કોમિક સ્ટ્રીપના સર્જક ચાર્લ્સ શૂલ્ઝની ફિલોસોફી આજે ઇન્ટરનેટ કોર્નરમાં ચર્ચવી છે.


તમારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના નથી...તમારે માત્ર એ ધ્યાનથી વાંચી, મનન કરવાનું છે.

૧. દુનિયાની પાંચ સૌથી વધુ ધનવાન વ્યક્તિઓના નામ શું છે?

૨. છેલ્લા પાંચ મેગ્સેસે અવોર્ડ વિજેતા કોણ હતાં?

૩. મિસ ઇન્ડિયા સ્પર્ધાના છેલ્લા પાંચ વિજેતાઓના નામ કહો.

૪. દસ નોબેલ ઇનામ વિજેતાઓના નામ યાદ કરો.

૫. છેલ્લા પાંચ ઓસ્કાર વિજેતા અભિનેતા અને અભિનેત્રીઓના નામ જણાવો.

૬. છેલ્લા પાંચ અર્જુન એવોર્ડ વિજેતાઓના નામ કહો.

કેવું લાગ્યું? નામો આવડ્યા કે અતિ અઘરી લાગી આ ક્વીઝ?

મુદ્દો એ છે કે આપણામાંના મોટા ભાગનાઓને ગઈ કાલ ના છાપામાં હેડલાઈન શી હતી તે પણ યાદ રહેતું નથી.

ઉપરના પ્રશ્નોમાંની વ્યક્તિઓ કંઈ નાનીસૂની વ્યક્તિઓ નથી.તેઓ પોતપોતાના ક્ષેત્રની સિદ્ધહસ્ત મહાન હસ્તીઓ છે. પણ પ્રશંસા આખરે મરી પરવારે છે. પુરસ્કારો જીર્ણ થઈ જાય છે, ટ્રોફીઓને કાટ લાગી જાય છે. સિદ્ધીઓ ભૂલાઈ જાય છે. નામના અને પ્રશસ્તિપત્રો તેમના માલિકની હયાતિ સુધી જ મહત્વ ધરાવે છે.

હવે એક બીજી ક્વીઝ જોઇએ. તમે આ પ્રશ્નોના ઉત્તર કેટલી સહેલાઈથી આપી શકો છો તે નોંધો.

૧. તમારા શાળાજીવન દરમ્યાન જે શ્રેષ્ઠ શિક્ષકોએ તમને સારા માર્ક્સ મળે એ માટે ખૂબ સારું ભણાવ્યું અને તમને ગણાવ્યા અને પ્રગતિના પથ પર આગળ વધાર્યા એવા શિક્ષકોની યાદી તૈયાર કરો.

૨. મુશ્કેલીના સમયે મદદ કરી હોય તેવા તમારાં પાંચ મિત્રોના નામ કહો.

૩. તમે આજે જે કંઈ છો તે બનવા માટે તમને પ્રેરણા આપી હોય,તમને અર્થપૂર્ણ એવું કંઈક શિખવામાં મદદ કરી હોય તેવી પાંચ વ્યક્તિના નામ યાદ કરો.

૪. એવી પાંચ વ્યક્તિના નામ યાદ કરો જેણે તમને ખૂબ સારૂં મહેસૂસ કરાવ્યું હોય, તમારા પોતા માટે ખાસ લાગણીનો અનુભવ કરાવ્યો હોય.

૫. તમને જેની સાથે સમય પસાર કરવો પસંદ કરતાં હોવ તેવી પાંચ વ્યક્તિને યાદ કરો.

ઉપસંહાર : તમારા જીવનમાં પરિવર્તન લાવનાર,તમારાં માટે વિશેષ એવી વ્યક્તિઓ સિદ્ધહસ્ત,શ્રીમંત, પ્રખ્યાત,ઘણાં બધાં પુરસ્કારો કે પ્રશસ્તિપત્રો પ્રાપ્ત કર્યાં હોય વ્યક્તિઓ હોતી નથી.

આ વ્યક્તિઓ એ છે જેને તમારા માટે સાચી કાળજી છે,જે કોઈ જાતના સ્વાર્થ વગર સદાયે તમારી પડખે રહે છે.

જીવન સાચા અને સારા સંબંધોથી જ અર્થપૂર્ણ, સાર્થક બને છે. ભૌતિક વિશ્વ અને સંબંધોની ભેળસેળ કરશો નહિં.

('ઈન્ટરનેટ પરથી')

Saturday, November 24, 2012

ડોક્ટરની કર્તવ્યનિષ્ઠા

ઇન્ટરનેટ પર જેક્ટોફર અરેલ્લાનો દ્વારા પોસ્ટ કરાયેલી આ વાર્તાના મૂળ લેખક વિષે જાણ નથી પણ તેમાં વ્યક્ત થતી સંવેદના હ્રદયસ્પર્શી છે.


અર્જન્ટ સર્જરી માટે બોલાવવામાં આવતા ડોક્ટર ઝડપથી હોસ્પિટલમાં પ્રવેશ્યા. તેમણે ઓપરેશન કરતી વખતે પહેરવાના કપડા પહેર્યા અને સીધા તેઓ ઓપરેશન થિયેટર પહોંચી ગયા.તેમણે નોંધ્યું કે જે બાળકની સર્જરી કરવાની હતી તેના પિતા અજંપા ભરેલી સ્થિતીમાં ત્યાં આઘા પાછા થતા ડોક્ટરની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા.

જેવું એ બાળકના પિતાનું ધ્યાન ડોક્ટર પર ગયું કે તરત તેમણે મોટા સાદે ડોક્ટર પર વરસી પડતા કહ્યું : "તમને આવતા આટલી બધી વાર શી રીતે લાગી શકે? મારા પુત્રનો જીવ અહિ જોખમમાં છે. તમને તમારી ફરજનું કંઈ ભાનબાન છે કે નહિ? કોઈ જવાબદારી? કોઈ પ્રકારની કર્તવ્યનિષ્ઠા?"

ડોક્ટરે સ્મિત સાથે જવાબ આપ્યો : "માફ કરજો. હું હોસ્પિટલમાં હાજર નહોતો અને મારાથી બની શકે એટલે ઝડપે હું અહિ હાજર થયો છું. હવે તમે શાંત થઈ જાઓ જેથી હું મારા કામે લાગી શકું."

"શાંત થઈ જાઉં? જો તમારું પોતાનું સંતાન અત્યારે ઓપરેશન થિયેટરમાં હોત તો શું તમે શાંત રહી શકત? જો તમારો પુત્ર અત્યારે મરી જાય તો તમે શું કરશો?" એ બાળકના પિતાએ ગુસ્સાપૂર્વક કહ્યું.

ડોક્ટરે ફરી સ્મિત સાથે કહ્યું : "દરેક ધર્મમાં જે કહ્યું છે તે વાતનો હું પુનરોચ્ચાર કરીશ કે - 'આપણે માટીમાંથી જ પેદા થયા છીએ અને તેમાં જ ભળી જવાના છીએ. ભગવાનમાં શ્રદ્ધા રાખવી,તે સૌનું ભલુ કરશે' ડોક્ટર્સ જીવનને લંબાવી શક્તા નથી. જાઓ અને તમારા પુત્ર માટે પ્રાર્થના કરો. અમે અમારાથી બનતા શ્રેષ્ઠ પ્રયત્નો કરીશું. ઇશ્વરની કૃપા હશે તો સૌ સારા વાના થશે."

"જ્યારે આપણી પોતાની સાથે કોઈ દુર્ઘટના ન બની રહી હોય, ત્યારે સલાહ આપવાનું ખૂબ સહેલું હોય છે." તે બાળકના પિતા ગણગણ્યા.

સર્જરી ઘણો લાંબો સમય ચાલી પણ થોડા કલાકો બાદ ડોક્ટર હસતા ચહેરે બહાર આવ્યા અને તેમણે ચિંતાતુર પિતાને કહ્યું,"ઇશ્વરનો આભાર માનો.તમારો પુત્ર બચી ગયો છે."

અને બચી ગયેલા બાળકના પિતાના આભારના શબ્દોની પણ રાહ જોયા વગર ડોક્ટર ઉતાવળે "તમારે કંઈ પણ પૂછવું હોય તો નર્સને પૂછી લે જો..." એ પ્રમાણે સૂચના આપી હોસ્પિટલ છોડી લગભગ દોડતા દોડતા જ ચાલ્યા ગયા.

બચી ગયેલા પુત્રના આભારવશ પિતાએ નર્સને પૂછ્યું:"આ ડોક્ટર આટલા ઉદ્ધત કેમ છે?શું તેમણે થોડી વાર થોભી મારા દિકરાની સ્થિતી અંગે વાતચીત ન કરવી જોઇએ?મારે એમને પૂછવું હતું કે મારા દિકરાનું ઓપરેશન કેવું રહ્યું, હવે તેની શી દરકાર રાખવી વગેરે."

નર્સે જવાબ આપ્યો : "ગઈ કાલે જ તેમનો એકનો એક પુત્ર રોડ અકસ્માતમાં માર્યો ગયો છે અને એ તેની દફનવિધિ છોડીને તમારા પુત્રનું ઓપરેશન કરવા આવ્યા હતા."


('ઈન્ટરનેટ પરથી')

Saturday, November 17, 2012

પ્રેમ એટલે ...

પ્રેમ એટલે એક અનમોલ રતન


પ્રેમ એટલે તારું ને મારા મન નું મિલન

પ્રેમ એટલે નિસ્વાર્થ સમર્પણ

પ્રેમ એટલે જ્યોત નું જ્યોત માં મિલન

પ્રેમ એટલે અંતર થી અવાજ

પ્રેમ એટલે કોઈ નું ધબકાર

પ્રેમ એટલે આગનું એધાણ

પ્રેંમ એટલે મારા હૃદય નો ધબકાર

પ્રેમ એટલે વસંત બહાર

પ્રેમ એટલે મલ્હાર નો સિતાર

પ્રેમ એટલે ટહુકા નો તાલ

પ્રેમ એટલે ઝાકળ નો ફાલ

પ્રેમ એટલે કુપળ નો વિકાસ

પ્રેમ એટલે સ્પંદન નો આભાસ

પ્રેમ એટલે ખીલતો ગુલાબ

પ્રેમ એટલે મધમધતો રૂઆબ

પ્રેમ એટલે પુંજ પ્રકાશ

પ્રેમ એટલે ઊર્મિ નો ઉઝાસ

પ્રેમ એટલે કવિ નો વાસ

પ્રેમ એટલે કથા નો સાર

પ્રેમ એટલે તારો વિચાર

પ્રેમ એટલે મારો ચિતાર

પ્રેમ એટલે સગપણ નો વાર

પ્રેમ એટલે સમજણ નો ભાર

પ્રેમ એટલે આંખો નો ભાર

પ્રેમ એટલે સપના ની વણઝાર

પ્રેમ એટલે મૌન નો સાથ

પ્રેમ એટલે સુધ્ધતા નો હાથ

પ્રેમ એટલે સાગર નો ક્યાસ

પ્રેમ એટલે નદી નો આવાસ

પ્રેમ એટલે મેરુનો પ્રવાસ

પ્રેમ એટલે નિશાનો નિવાસ

પ્રેમ એટલે ભીનો આભાસ

પ્રેમ એટલે મધમધતો રૂમાલ

પ્રેમ એટલે હરખ નો તહેવાર

પ્રેમ એટલે સુખનો રવિવાર

પ્રેમ એટલે અનંત નો ભાસ

પ્રેમ એટલે પ્રભુ નો વાસ...


('ઈન્ટરનેટ પરથી')

Saturday, November 10, 2012

બિઝનેસ આ રીતે થાય!


પિતા : હું ઇચ્છુ છું કે તું મે પસંદ કરેલી યુવતિ સાથે લગ્ન કરે.

પુત્ર : પણ હું કંઈ નાનો કિકલો નથી.પુખ્ત વ્યક્તિ છું. મારે તો મારી પસંદગીની છોકરી સાથે જ પરણવું છે.

પિતા : પણ બેટા,એ યુવતિ વિશ્વના સૌથી વધુ ધનિકોમાંના એક એવા બિલ ગેટ્સની પુત્રી છે.

પુત્ર : ઓહ....તો વાત જુદી છે.બોલો ક્યારે કરવાના છે લગ્ન?!



હવે પિતા બિલ ગેટ્સ પાસે જાય છે.

પિતા : તમારી પુત્રી માટે મારા ધ્યાનમાં એક અતિ લાયક, દેખાવડો મૂરતિયો છે.

બિલ ગેટ્સ : પણ મારી પુત્રી તો હજી લગ્ન માટે ઘણી નાની છે.

પિતા : પણ મારી નજરમાં છે એ યુવાન વર્લ્ડ બેન્કનો વાઈસ પ્રેસિડેન્ટ છે.

બિલ ગેટ્સ : ઓહ...તો પછી વાંધો નહિં!



છેલ્લી પિતા વર્લ્ડ બેન્કના પ્રેસિડેન્ટ પાસે જાય છે...

પિતા : તમારી અડધો અડધ જવાબદારી સંભાળી લે એવો કાબેલ યુવાન વાઈસ પ્રેસિડેન્ટ તરીકે જોડાઈ શકે એવો કાબેલ યુવાન મારી નજરમાં છે.

પ્રેસિડેન્ટ : પણ મારી પાસે અત્યારે જરૂરિયાત કરતાં વધારે વાઈસ પ્રેસિડેન્ટ નોકરીમાં છે.

પિતા : પણ આ યુવાન બિલ ગેટ્સનો જમાઈ છે.

પ્રેસિડેન્ટ : ઓહ..તો વાત જુદી છે...આવતી કાલથી તેઓ વર્લ્ડ બેન્કના વાઈસ પ્રેસિડેન્ટ!

ઉપસંહાર : તમારી પાસે કંઈ જ ન હોય તો પણ તમે ઘણું બધું / કંઈ પણ મેળવી શકો છો.બસ તમારો અભિગમ હકારાત્મક હોવો જોઇએ! થિન્ક પોઝિટીવ!!!


('ઈન્ટરનેટ પરથી')

Sunday, November 4, 2012

આયુર્વેદ કવિતા

ચોમાસે અજમો, લસણ ભલા


પણ, બારે માસ ત્રિફલા ભલા.



ખાય જે બાજરી ના રોટલા અને મૂળા ના પાન,

શાકાઆહારને લીધે, તે ઘરડા પણ થાય જવાન.



રોટલા, કઠોળ અને ભાજી, -- તે ખાનારની તબીઅત તાજી,

મૂળો, મોગરી, ગાજર ને બોર, જે ખાય રાતે તે રહે ન રાજી.



હિંગ, મરચું અને આમલી, સોપારી અને તેલ,

શોખ હોય તો પણ, સ્વાસ્થ્ય માટે પાંચે વસ્તુ મેલ.



આદુ રસ ને મધ મેળવી, ચાટે જો પરમ ચતુર,

શ્વાસ, શરદી, અને વેદના, ભાગે તેના જરૂર.



ખાંડ, મીઠું અને સોડા, એ ત્રણ સફેદ ઝેર કહેવાય,

નિત ખાવા-પીવામાં એ વિવેકબુદ્ધિથી જ વપરાય.



ફણગાવેલા કઠોળ જે ખાય, તે લાંબો, પોહળો અને તગડો થાય

દૂધ-સાકર, એલચી, વરીયાળી અને દ્રાક્ષ, એ ગાનારા સૌ ખાય



લીંબુ કહે: હું ગોળ ગોળ, ભલે રસ છે મારો ખાટો,

સેવન કરો જો મારું તો, પિત્ત ને મારું હું લાતો.



ચણો કહે: હું ખરબચડો, પીળો પીળો રંગ જણાય,

ચણા દાળ ને ગોળ જે ખાય, તે ઘોડા જેવો થાય.



મગ કહે: હું લીલો દાણો અને મારે માથે ચાંદુ,

જો બે ચાર મહીના ખાય તો માણસ ઉઠાડું માંદુ



કારેલું કહે: કડવો, કડવો હું અને મારે માથે ચોટલી,

રસ જો પીએ મારો, ડાયાબીટીસની બાંધુ ચોટલી



આમલી કહે: મારામાં ગુણ એક જ, પણ અવગુણ છે પુરા ત્રીસ

લીંબુ કહે: મારામાં અવગુણ એક નહીં, પણ ગુણ છે પુરા વીસ



ઉનાળો જોગીનો, શિયાળો ભોગીનો ને ચોમાસુ રોગીનું,

શાકાઆહારી જે જન રહે, દર્દ નામ કદી ન લે એ જોગીનું



('ઈન્ટરનેટ પરથી')

Saturday, October 27, 2012

આપણે આનંદ ખોઈ બેસીએ છીએ.

એક વાર એક રાજા હતો જે તેના અપાર વૈભવ અને આરામદાયી શ્રીમંત જીવનશૈલી છતાં સુખી અને સંતુષ્ટ નહોતો.

એક દિવસ તેણે એક નોકરને જોયો જે હસતા હસતા ગાયે જતો હતો અને તેનું કામ કર્યે જતો હતો.

આ જોઈ રાજાને ખૂબ નવાઈ લાગી.તેને વિચાર આવ્યો કે પોતે એ સમગ્ર પ્રદેશનો મોટો શાસક હોવા છતાં દુ:ખી અને ઉદાસ હતો જ્યારે પેલો તુચ્છ નોકર ગરીબ હોવા છતાં કેટલો સુખી હતો.

રાજાએ તે નોકરને સીધું જ પૂછી લીધું:"તુ આટલો બધો આનંદિત કેમ છે?"

તે નોકરે જવાબ આપ્યો,"રાજાજી,હું તો એક મામૂલી નોકર છું.મારા કુટુંબ અને મારી જરૂરિયાત ખૂબ ઓછી છે.અમને માત્ર માથે એક છત અને પેટ ભરવા થોડા ધાનની જરૂર પડે છે."

રાજાને નોકરના એ જવાબથી સંતોષ થયો નહિ.આથી તેણે પોતાના વિશ્વાસુ સલાહકારોને બોલાવ્યા અને તેમની સાથે મસલત કરી.રાજાની વિમાસણ અને નોકરની પૂરી વાત સાંભળ્યા બાદ મંત્રીઓએ કહ્યું"રાજાજી અમારૂં માનવું એવું છે કે તમારો આ નોકર ૯૯મંડળનો ભાગ નથી."

રાજાને વધારે વિસ્મય થયું.આ વળી ૯૯મંડળ શું છે?

મંત્રીઓએ જણાવ્યું,"રાજાજી તમારે જો ૯૯મંડળનું રહસ્ય જાણવું હોય તો ૯૯ સોનામહોરો એક કોથળીમાં ભરો અને તે તમારા નોકરના ઘરના દરવાજે મૂકી દો!"

રાજાએ એ પ્રમાણે કર્યું અને જ્યારે નોકરે એ થેલી જોઈ કે તેણે તરત એ પોતાના ઘરમાં લઈ લીધી.થેલી ખોલતાં જ સોનામહોરો જોતાં તેના આશ્ચર્ય અને હર્ષનો પાર ન રહ્યો.તેણે એ ગણી નાખ્યાં.બેચાર વાર ગણ્યા બાદ જ્યારે તેને ખાતરી થઈ ગઈ કે થેલીમાં ૯૯ સોનામહોરો હતી તેણે સ્વગત પ્રશ્ન કર્યો:"સો સોનામહોર હોવી જોઇએ.તેમાંથી એક સોનામહોર ક્યાં ગઈ હશે?કોઈ થેલીમાં ૯૯ સોનામહોર શા માટે મૂકે?"

તેણે બાકીની એક સોનામહોર શોધવાના અથાગ પ્રયત્નો કર્યા પણ એ તેને ક્યાંયે જડ્યો નહિ.છેવટે તેણે નિર્ણય લીધો કે તે ખૂબ મહેનત કરીને પણ વધુ કમાશે અને બાકીની એક સોનામહોર ખરીદી સોનામહોરની સોની સંખ્યા પૂર્ણ કરશે.એ દિવસ પછી તે નોકરનું જીવન સાવ બદલાઈ ગયું.

તે હદ બહારની મહેનત કરવા માંડ્યો.તેથી તે ક્રોધમાં રહેવા માંડ્યો.તેણે તેના પરિવાર પ્રત્યે લક્ષ આપવાનું છોડી દીધું.સોમી સોનામહોર ખરીદવા જરૂરી મસમોટી રકમ ભેગી ન કરી શકવાને કારણે તેણે પોતાનો ગુસ્સો પોતાના પરિવારજનો પર ઠાલવવાનું શરૂ કર્યું.તેનું કામ કરતી વેળાએ ગીત ગાવાનું બંધ થઈ ગયું.

આ નોંધનીય પરિવર્તન જોઈ રાજા મૂંઝવણમાં પડી ગયો.ફરી તેણે પેલા સલાહકાર મંત્રીઓના વ્રુંદને એકઠું કર્યું.તેમણે કહ્યું,"રાજાજી હવે તમારો એ નોકર ૯૯મંડળમાં સામેલ થઈ ગયો છે. ૯૯મંડળ એવા લોકોનું બનેલું છે જેમની પાસે સુખી થવા માટે જરૂરી ધન હોવા છતાં તેઓ ક્યારેય સંતુષ્ટ થતા નથી.કારણ તેઓ સદાય ઝૂરતા રહે છે,સતત એક વાતનું રટણ કરતા : બસ મને એ એક છેલ્લી વસ્તુ પ્રાપ્ત કરી લેવા દે,પછી હું જીવનભર માટે સુખી થઈ જઈશ."

આપણે જીવનમાં અલ્પ દ્વારા પણ સુખી થઈ શકીએ છીએ પણ જેવું આપણને કંઈક મોટું અને સારુ પ્રાપ્ત થાય છે કે તરત આપણને વધુ મેળવવાની ઝંખના જાગે છે. આપણે ઉંઘ ગુમાવી બેસીએ છીએ. આપણો આનંદ ખોઈ બેસીએ ચીએ.આપણા નિકટજનોને દુ:ખ પહોંચાડવા માંડીએ છીએ. આપણી વધતી જતી એષણાઓ,લાલચ અને જરૂરિયાતોની આવી મોંઘી અને આકરી કિંમત આપણે ચૂકવીએ છીએ. આ છે ૯૯ના મંડળનું રહસ્ય."

Saturday, October 13, 2012

સિંધુતાઈ સપકાલ

સિંધુતાઈ સપકાલ.૬૩ વર્ષની ઉંમર. શરીર પર કોઈ ઘરેણાં નહિં. ચોળાયેલો કોટનની સાડી અને કપાળે કાળો મોટો ચાંદલો અને મુખ પર ઉષ્માભર્યું સ્મિત.


ગયા વર્ષે સિંધુતાઈને મુંબઈની આઈ.એમ.સી. વિંગે 'વુમન ઓફ ધ યર' સન્માન આપી નવાજ્યા.આ સન્માન અને ટ્રોફી લેતી વખતે પેનલનો આભાર માનતાં તેમણે તળપદી મરાઠી ભાષામાં કહ્યું," આ જીવન જ એક સૌથી મોટો પુરસ્કાર છે."

વર્ધાના એક ખેડૂતને ઘેર જન્મેલા સિંધુતાઈને તેઓ જ્યાર ૨૪ વર્ષના હતા અને જ્યારે તેમના પેટમાં નવ મહિનાનો ગર્ભ હતો ત્યારે તેમના પતિએ તેમને કાઢી મૂક્યા.પણ પછીતો જીવનમાં તેઓ ભિખ માંગવાથી માંડીને નાણાંભંડોળ ઉભું કરનાર,ચાર અનાથાલયોના વ્યવસ્થાપક અને હજારથીયે વધુ અનાથ બાળકોના લાડલા 'માઈ' બની ગયાં.

જીવનરાહમાં સપકાલે પોતાની સગી દિકરીનો ત્યાગ કર્યો જેથી તે બીજા અનાથ બાળકોને ભૂલથી પણ ક્યારેય અન્યાય ન કરી બેસે. પોતાના મરણ પથારીપર રહેલા પતિને માફી આપી તેની સેવાનું સદકાર્ય પણ સિંધુતાઈએ કર્યું અને વીસ વર્ષ બાદ તેનો પોતાની ત્યાગી દિધેલી સગી દિકરી સાથે ફરી મેળાપ થયો. તેમના જીવનના આ નોંધનીય પાસાઓને લીધે તેઓ જ્યાં જાય ત્યાં લોકો તેમના તરફ ખેંચાય છે.

આઈ.એમ.સી. ખાતે જ્યારે તેમનો સત્કાર સમારંભ યોજાયો ત્યારે પ્રેક્ષકગણમાં બેઠેલી મોટા મોટા ઉદ્યોગપતિઓની પત્નીઓ તેમજ સમાજની ઉપલી હરોળમાં ગણાતી અનેક સોશ્યલાઈટ ગ્રુહિણીઓએ સિંધુતાઈના ચરણસ્પર્શ કરવા અને તેમની સાથે પોતપોતાના ફોટા પડાવવા પડાપડી કરી!

બીજે દિવસે જ્યારે સિંધુતાઈ દાદરના મધ્યમવર્ગીય શિવાજી પાર્ક વિસ્તારમાં ટેકસીમાંથી એક હોટલમાં જવા ઉતર્યા ત્યારે વટેમાર્ગુઓ થોભી જઈ, તેમનો ચરણ સ્પર્શ કરવા રોકાઈ ગયા અને હોટલનો મેનેજર તેમને જમા થઈ ગયેલી ભીડમાંથી માર્ગ કરતો હોટલમાં લઈ ગયો.

કેટલાંયે લોકોએ તેમને તેમની જીવનકથા પરથી બનેલી મરાઠી ફિલ્મ 'મી સિંધુતાઈ સપકાલ' ફિલ્મની સફળતા બદલ અભિનંદન આપ્યા.આ ફિલ્મને ગયા વર્ષે ચાર રાષ્ટ્રીય પુરસ્કારોથી સનમાનિત કરાઈ હતી.અન્ય કેટલાક લોકોએ તેમને તેમના સંતાનો વિષે પ્રશ્નો પૂછ્યાં.

તેમને મદદ કરવા તત્પર દરેક વ્યક્તિએને તેમણે એક જ જવાબ આપ્યો:,”તમારે મને જે કંઈ આપવું હોય તે આપો જેથી હું મારૂં કાર્ય ચાલુ રાખી શકું.”

સપકાલના બધાંજ અનાથાલયો ખાનગી સખાવત થકી ચાલે છે.તેમના જીવનની એક ફરિયાદ તેઓ સસ્મિત કરે છે કે તેમના કાર્ય માટે તેમને ક્યારેય સરકાર તરફથી ક્યારેય કોઈ મદદ મળી નથી.

તાઈ કહે છે,"મને જ્યારે જ્યારે બોલવાનું આમંત્રણ આપવામાં આવે છે ત્યારે મારા છેલ્લા શબ્દો દાનની વિનંતીના હોય છે." સ્મિત ફરકાવતા તેઓ કહે છે,"ભાષણ નહિં તો રેશન નહિં! અને રેશન ન હોય એ તો કેમ ચાલે?મેં જીવનમાં ઘણું પહેલા જ નક્કી કરી લીધેલું કે હું કોઈ પણ અનાથની માતા બનીશ પછી ભલે એ અનાથ, બાળક હોય,કોઈ ગરીબ તરછોડાયેલી સ્ત્રી હોય કે પછી કોઈ ઘરડી વ્યક્તિ હોય.”

આ નિર્ણય પાછળની યાત્રાની શરૂઆત ૧૯૫૮માં થઈ જ્યારે નવ વર્ષની ઉંમરે સિંધુતાઈ નાં લગ્ન તેમનાથી વીસ વર્ષ મોટા પુરુષ સાથે થયા.

તાઈ ભોળપણ સાથે મુખ પર તેમના ટ્રેડમાર્ક સ્માઈલ સાથે કહે છે," ૧૨વર્ષની વયે મને સાસરે મોકલી દેવામાં આવી હતી જ્યાં મને ખૂબ મારવામાં આવતું,મારી સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવતો અને મારી પાસે હદ કરતાં વધુ કામ કરાવવામાં આવતું. અને હું ૨૪ વર્ષની હતી ત્યારે ઘરેલુ ઝઘડાને લીધે તેઓએ મને તેમના ઘરમાંથી કાઢી મૂકી.” તાઈને તે વખતે નવ મહિનાનો ગર્ભ હતો અને તેમની સુવાવડ એક ગમાણમાં થઈ.તાજી જન્મેલી દિકરીની નાળ તેમણે એક ધારદાર પત્થરથી કાપી. “અમારૂં ગુજરાન ચલાવવા મેં ટ્રેનમાં ગાઈને ભીખ માગવાનું શરૂ કર્યું.મેં ત્રણ વાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો પણ હવે મને સમજાય છે શા માટે દર વખતે ઇશ્વરે મને બચાવી લીધી.”

સપકાલે આ નિર્ધન સ્થિતીમાં જ અનાથ બાળકોને દત્તક લેવાનો સેવા યજ્ઞ શરૂ કર્યો જ્યારે હજુ તેમની પોતાની બાળકી સાવ નાની હતી. રેલવે પ્લેટફોર્મ્સ પર જીવન જીવતા બાળકો પ્રત્યે તેમને અનુકંપા જાગી અને તેમણે તેઓની દેખરેખ રાખવાની શરૂઆત કરી. જે ખોરાક અને રહેવાની જગા મળે તે તાઈ આ બાળકો સાથે વહેંચવા માંડ્યા. અને જ્યારે તેમની બાળકી છ મહિનાની થઈ ત્યારે તેમણે પોતાના જીવનનો સૌથી કપરો - કેટલાક લોકો જેને નિષ્ઠુર,ઘાતકી અને ક્રૂર ગણે છે - તેવો નિર્ણય કર્યો. તેઓ કહે છે,"મેં મારી સગી દિકરીનો પુણેના એક સમાજ કલ્યાણ ટ્રસ્ટને સોંપી દઈ ત્યાગ કર્યો. મારે પેટે જણેલી દિકરીને કારણે અન્ય કોઈ અનાથ બાળકને અન્યાય ન થઈ બેસે એ બાબતની તકેદારી રાખવી હતી. આથી મેં કાળજા પર પત્થર મૂકી આવો કઠોર નિર્ણય લીધો." તેઓ ભવા ઉંચા ચડાવી આવી માહિતી આપે છે.

તે પછીના ૧૩ વર્ષો સુધી સિંધુતાઈએ શેરીમાં રઝળતા બાળકોનું ભરણપોષણ કર્યું.આ માટે જરૂરી નાણાંભંડોળ તાઈએ ભિખ માગીને ટ્રેનમાં ગીતો ગાઈને અને પોતાના શક્તિશાળી વક્તવ્યોમાંથી રળેલી સખાવતમાંથી મેળવતા.તાઈ પાંચ જ ચોપડી ભણી શાળામાંથી ઉઠી ગયેલા પણ તેમને કવિતાનો જબરો શોખ છે અને તેમની પાસે સુંદર વકતૃત્વનું જન્મજાત વરદાન છે.

વર્ષ ૧૯૮૬માં તાઈએ પોતાના પહેલા અનાથાલયનું અમરાવતી ખાતે રજિસ્ટ્રેશન કરાવ્યું..

જેમ જેમ તેમની આ ઝૂંબેશ આગળ વધતી ચાલી તેની કિર્તી વધતી ચાલી અને મંદિરોમાંથી,ટ્રસ્ટો પાસેથી અને શુભચિંતકો પાસેથી સખાવતનો ધોધ વહેવા લાગ્યો.

ત્યાર બાદ પ્રથમ અનાથાલય ખોલ્યાના વીસેક વર્ષ બાદ સપકાલને એવી માહિતી મળી કે તેમના ૭૫ વર્ષીય પતિ એકલા અને માંદા છે.તાઈ કહે છે,"તેઓ અનાથ અને વ્રુદ્ધ બની ગયા હતા.મારે તેમની મદદ કરવીજ પડે. મેં તેમને જણાવ્યું કે હું તેમની પત્ની તરીકે તેમની સાથે નહિ રહું પણ તેમની મારા બાળકની જેમ ચાકરી જરૂર કરીશ."

તાઈને ક્ષમા વિશે પૂછો અને તે જણાવે છે કે તેમની બધી સફળતાનો યશ તેમના પતિને જાય છે. “મારો ત્યાગ કરીને તેમણે જ મને જીવનની આ નવી રાહ ચિંધી હતી." એમ તેઓ ખચકાયા વગર કહે છે.

પણ આ ઉદારતાભર્યા કાર્યો કરતાં કરતાં પણ તેમનું હ્રદય તેમને ડંખતું રહ્યું,એમ વિચારીને કે તેમની સગી દિકરી તેમને ધિક્કારતી હશે. તેઓ કહે છે,"મને લાગતું કે તે ક્યારેય એ સમજી શકશે નહિ કે મેં શા માટે બાળવયમાં જ તેનો ત્યાગ કર્યો હતો.પણ મારો એ ડર ખોટો સાબિત થયો અને આજે મારી દિકરી મારે પડખે છે. મને લાગે છે કે મારો નિર્ણય સાચો જ હતો.”

બે વર્ષ પહેલાં સિંધુતાઈને સાનફ્રાન્સિસ્કો ખાતે એક મરાઠી સાહિત્યિક કાર્યક્રમમાં વક્તવ્ય આપવા આમંત્રવામાં આવ્યા. આ કાર્યક્રમના મિડિયા કવરેજ પર ફિલ્મ દિગ્દર્શક અનંત મહાદેવનનું ધ્યાન ગયું.

અનંત જણાવે છે કે 'મારા ૧૫૭ જમાઈ છે' એવું સિંધુતાઈનું વિધાન વાંચી હું આભો જ બની ગયો! અમારૂં મળવાનું લખાયું જ હશે. તેઓ પોતાના પર મારા દ્વારા બનાવાયેલી ફિલ્મથી ખૂબ ખુશ છે અને હું પણ એટલો જ આનંદિત છું.આ ફિલ્મે મને એક વધુ સારો સર્જક બનાવ્યો છે."

ગયા વર્ષે સિંધુતાઈના જીવન પરથી બનેલી આ ફિલ્મે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મમેળાઓનો પ્રવાસ ખેડ્યો. તાઈ હર્ષપૂર્વક જણાવે છે કે “આ દ્વારા મારા મિશનને ખૂબ સારી ખ્યાતિ મળી છે.લોકો હવે સામેથી મારી મદદ કરવા આવે છે.મારી ચળવળને આ ફિલ્મે અતિ પ્રસિધ્ધી અપાવી છે."

('ઈન્ટરનેટ પરથી')

Saturday, October 6, 2012

ગાંધીજીએ અંચઈ કરવાની ના પાડી

મોહનદાસ કરમચંદ ગાંધી રાજકોટની આલ્ફ્રેડ હાઈ સ્કૂલમાં ભણ્યા હતા.તે ભણવામાં ખૂબ હોંશિયાર વિદ્યાર્થી નહોતા પણ ખૂબ મહેનતુ હતા. તેમના પ્રથમ વર્ષ દરમ્યાન,એક વાર સ્કૂલ ઇન્સ્પેક્ટર મિસ્ટર ગાઈલ્સ તેમના ક્લાસમાં વિઝિટ માટે આવ્યા. વિદ્યાર્થીઓની સાચા સ્પેલિંગ્સ લખવાની ક્ષમતા ચકાસવા તેમણે દરેક વિદ્યાર્થીને પાંચ શબ્દો પોતપોતાની સ્લેટ્સ પર લખવા માટે કહ્યું.તેમાંનો એક શબ્દ હતો 'Kettle'. બાળક ગાંધીએ આ શબ્દનો સ્પેલિંગ ખોટો લખ્યો.આ વાત તેમના ક્લાસટીચરના ધ્યાનમાં આવી ગઈ.તેમણે ગાંધીજીને ઇશારો કરી આ સ્પેલિંગ પાડોશી વિદ્યાર્થીની સ્લેટમાં જોઈ સુધારી લેવા જણાવ્યું.


“ ક્લાસ ટીચરે પોતાના બૂટ મારા પગ પર દાબી મને ઇશારો કરવા પ્રયત્નો કર્યા પણ મેં તે તરફ બિલકુલ ધ્યાન આપ્યું નહિં.” ગાંધીજી એ પાછળથી તેમની આત્મકથા 'સત્યના પ્રયોગો'માં આ પ્રમાણે લખ્યું હતું.

ટીચરને લાગ્યું કે તેમના વિદ્યાર્થીઓ જો ખોટા સ્પેલિંગ્સ લખશે તો તેમની છબી ખરડાઈ જશે આથી તેમણે ગાંધીજીને અંચઈ કરવા કહ્યું.ગાંધીજીએ એમ કર્યું નહિં કારણ તેઓ જાણતા હતા કે નકલ કરવી ખોટું છે.જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે ગાંધીજી એક માત્ર વિદ્યાર્થી હતા જેનો સ્પેલિંગ ખોટો હોય.બીજા બધાં વિદ્યાર્થીઓએ પાંચેપાંચ સ્પેલિંગ્સ સાચા લખ્યાં હતાં.પણ આજે આખા વિશ્વમાં માત્ર ગાંધીજી પૂજાય છે.

ગાંધીજીએ બાર વર્ષના એક બાળક તરીકે કહ્યું,"હું માનતો હતો કે ટીચરનું કામ અમને નકલ કરતાં રોકવાનું છે પછી શા માટે મારા ક્લાસ ટીચર મને એમ કરવા ઇશારો કરતા હતા એ સમજાયું નહિં, તેમ છતાં આ પ્રસંગ બાદ પણ મારા શિક્ષક પ્રત્યેનું માન મારી નજરમાં જરાય ઘટ્યું નહોતું."

એવી કોઈ પણ વ્યક્તિ હશે જેને ચિંતાઓ કે તણાવ મુક્ત સ્મિતોથી ભરેલું જીવન જીવવું ગમતું ન હોય? ગાંધીજી પણ એ મેળવવા જીવનનો સરળ માર્ગ પસંદ કરી શક્યા હોત. પણ તેમણે હંમેશા સત્યનો માર્ગ જ પસંદ કર્યો, ભલે પછી એ ગમે એટલો કઠણ કેમ ન હોય.અને આમ તેમણે જીવનપર્યંત કર્યું.

માણસ તરીકે તમારી પાસે સાચું શું અને ખોટું શું એ પારખવાની શક્તિ રહેલી છે.પણ તમારે જે સાચું છે તેને વળગી રહેવાની હિંમત કેળવવાની જરૂર છે.


('ઈન્ટરનેટ પરથી')

Sunday, September 23, 2012

ઈશ્વર સાથે ઓનલાઈન ચેટિંગ.

એક વખત હું મારા લૅપટૉપ પર ચેટિંગ કરતો હતો. ત્યાં મને ઈશ્વરનો ઓનલાઈન ભેટો થઈ ગયો. ....


ઈશ્વર:શું તું મારી સાથે ચેટિંગ કરવા માંગે છે?’

હું : ‘ના, મેં તમને બોલાવ્યા નથી. તમે કોણ છો ?’

ઈશ્વર:‘વત્સ હું આ સમસ્ત બ્રહ્માંડનો અને આ સૃષ્ટિનો સર્જક છું….ઈશ્વર છું.’

હું : ‘હું કેવી રીતે માનું કે તમે ઈશ્વર છો ? તમારા જેવા તો ઘણા પોતાની જાતને અહીં ‘ભગવાન’ કહેવડાવે છે.’

ઈશ્વર:‘માનવું કે ન માનવું એ તારી મરજીની વાત છે. મને તેનાથી કોઈ ફરક નથી પડતો. તને જો તારી જાતમાં વિશ્વાસ ન હોય તો પછી મારામાં ક્યાંથી હોય?’

હું : ‘ઓ.કે. પરંતુ હું અત્યારે નવરો નથી. તમારી સાથે વાત કરવાનો મને સમય નથી. તમે જાણો છો કે હું કેટલો વ્યસ્ત છું ?

ઈશ્વર : ‘વ્યસ્ત તો કીડી મંકોડા પણ આખો દિવસ હોય છે !’

હું : ‘તમને ખબર નથી કે અમારે કેટલું કામ હોય છે. જિંદગી કેટલી ઝડપી થઈ ગઈ છે. અત્યારે ‘પીક અવર્સ’ ચાલે છે.

ઈશ્વર : ‘ભાઈ, સવારના પહોરમાં તું છાપાઓમાં ભરેલો દુનિયાભરનો કચરો મગજમાં ઠાલવે છે. એટલું ઓછું હોય તેમ, અત્યારે તારા ‘પીક અવર્સ’માં ઈન્ટરનેટથી બીજા વધારે કચરાનો ઉમેરો કરે છે. આને તું વ્યસ્તતા કહે છે ? તને તારા માટે ફુરસદ ન હોય તો મારા માટે તો ક્યાંથી હોય ? પણ મને થયું ચાલ, ઈન્ટરનેટ પર તો તું ચોક્કસ મળી જ જઈશ અને તને એ વધુ અનુકૂળ પડશે.’

હું : ‘અમે કાયમ ઉદાસ, નિસ્તેજ અને દુ:ખી કેમ હોઈએ છીએ ?’

ઈશ્વર : સતત ચિંતા કરવી અને અસલામતીનો ભય રાખવો એ જ હવે તારો સ્વભાવ થઈ ગયો છે. તો પછી ઉદાસ ને દુ:ખી જ રહેવાય ને?’

હું : ‘પણ તમને ખબર છે કે અમે સતત લટકતી તલવાર નીચે કામ કરતાં હોઈએ છીએ. અમારે અમારા ટારગેટ સમયસર પૂરા કરવાના હોય છે કોઈક વાર તો ગાડીના હપ્તાં ભરવાના પણ બાકી રહી જાય છે. તો પછી ચિંતા કેમ ન થાય ? ભાવિ બધું જ અનિશ્ચિત દેખાય છે.’

ઈશ્વર : ‘વ્હાલા દીકરા ! મેં તારું સર્જન તને પીડા કે દુ:ખી કરવા નથી કર્યું. જો એવું હોત તો મેં તારા જન્મ પહેલાં તારા દૂધની વ્યવસ્થા ન કરી હોત. જિંદગી દુ:ખી થવા માટે નથી. આ બધી પીડા તો તેં તારી જાતે જ ઊભી કરેલી છે. કાદવમાં ફસાયેલો માણસ કાદવમાં વધારે ઊંડો ઊતરતો જાય એવું છે ! તેં વાઘ પર સવારી માંડી છે અને હવે તું ગભરાય છે કે વાઘ મને ફાડી ખાશે !

હું : ‘પ્રભુ ! ખરૂં પૂછો તો આટલી બધી પીડાઓ, મુશ્કેલીઓ વચ્ચે અમે કઈ રીતે જીવીએ છીએ એ જ ખબર નથી પડતી.’

ઈશ્વર : ‘તું સતત બહાર ભટકીને ખરેખર થાકી ગયો છે. જરાક તારી અંદર ખોજ કર. થોડું આત્મદર્શન કર. એમ કરીશ તો તને ખબર પડશે કે તું ક્યાં જઈ રહ્યો છે.’

હું : ‘તમે તો ઈશ્વર છો, તો મને કપરા સંજોગો અને મુશ્કેલીના સમયમાં ટકવાની ચાવી બતાવો ને !’

ઈશ્વર : ‘તારામાં પણ અપાર શક્તિ છે. એને ઓળખવાની કોશિશ કર. મુશ્કેલીઓનો સામનો કરવાનો એ જ ઉપાય છે. થોડી ધીરજ, હિંમત, વિશ્વાસ અને ઉત્સાહ રાખ. કપરાં સંજોગો પણ કાયમ કપરાં રહેતાં નથી,એ પણ વહી જવાના છે.’

હું : ‘ચલો, એ તો બરાબર. પણ મને એ પ્રશ્ન થાય છે કે દુનિયામાં લોકો આટલા બધા સ્વાર્થી કેમ થઈ ગયા છે ?’

ઈશ્વર : ‘લોકો જેવા છે તેવા સ્વીકારી લે. બીજાને બદલવાનો મિથ્યા પ્રયાસ ન કરીશ. તારી જાતને ઓળખીને તેને બદલવા કોશિશ કર.’

હું : ‘એ તો હું સમજ્યો પણ મને એ નથી સમજાતું કે દુનિયામાં સારા માણસોને જ કેમ સહન કરવું પડે છે ?’

ઈશ્વર : ‘બેટા, સારા માણસોની જ કસોટી થાય છે. સોનું કસોટીમાંથી શુદ્ધ થઈને બહાર આવે છે. એ રીતે પ્રશ્નો, મુશ્કેલીઓ હકીકતે આંતરિક શક્તિ અને સહનશીલતા વધારે છે.’


હું : ‘તમે હાલની માનવજાત માટે શું માનો છો ?’

ઈશ્વર : ‘એ જ કે, પૈસા મેળવવા માટે સ્વાસ્થ્ય ગુમાવે છે અને પછી સ્વાસ્થ મેળવવા પૈસા ગુમાવે છે ! અર્થાત પૈસાનું પાણી કરે છે ! બાળપણમાં કંટાળો અનુભવે છે અને ઘડપણમાં બાળપણ ખોળે છે. યુવાનીમાં તો એ રીતે જીવે છે જાણે કે કદી મૃત્યુ આવવાનું જ નથી ! જ્યારે કોઈ મુશ્કેલી આવે છે ત્યારે કહે છે ‘મને એકલાને જ આવું કેમ ?’ બાકી ક્યારેય સુખમાં ‘હું એકલો કેમ ?’ એવો પ્રશ્ન એને નથી થતો.

હું : ‘પ્રભુ, તમે જિંદગીને ઉત્તમતાથી માણવાનું રહસ્ય મને કહો.’

ઈશ્વર : ‘તને હંમેશા સામે કિનારે જ સુખ દેખાય છે. તારી પાસે જે કંઈ છે, જેટલું છે એને ભોગવ. જે નથી એની ચિંતા ના કરીશ. સતત ફરિયાદ અને સરખામણી ન કરીશ. સતત સરખામણી કરીને તેં તારા ઘરમાં પણ આગ લગાડી છે. ભૂતકાળને ભૂલીને વર્તમાનને વિશ્વાસથી વધાવતાં ભવિષ્ય માટે તૈયાર રહે. નફરત અને નકારાત્મક વિચારો છોડી દે નહીં તો એ વધુ જોરથી તારી પાસે આવશે. બીજાને પ્રેમ કર તો આપોઆપ લોકો તને પ્રેમ કરશે. થોડું ક્ષમા આપવાનું પણ રાખ.’

હું : ‘મારો એક છેલ્લો સવાલ એ છે કે મારી પ્રાર્થનાઓ કોઈ દિવસ તમને સંભળાય છે ખરી ?’

ઈશ્વર : ‘બધી જ સંભળાય છે પરંતુ જવાબ આપવાની મારી રીત જુદી હોય છે. મારા જવાબો ભવ્ય પર્વતો, ઝરણાં, નદીઓ, સમુદ્રો અને વૃક્ષોની વનરાજીમાં છે. ભવ્ય સૂર્યોદય અને સૂર્યાસ્તમાં છે. દરરોજ એક સુંદર પ્રભાત થાય છે – આ બધા મારા જવાબો છે. પરંતુ તને તે જોવાની ફુરસદ જ ક્યાં છે ? ચાંદની રાતે કોઈકવાર ખુલ્લા આકાશ સામે શાંતચિત્તે થોડો સમય બેસીને મંદ મંદ વહેતા પવનની લહેરો કે તમરાનું મધુર સંગીત માણ્યું છે ? એ માણતાં શીખીશ તો તને મારા જવાબો મળી જશે.

હું : ‘આપને મળીને ખૂબ સારું લાગ્યું. આ વાર્તાલાપ માટે આપનો ખૂબ ખૂબ આભાર. મારા માટે કોઈ સંદેશ છે ?’

ઈશ્વર : ‘વત્સ ! મારામાં શ્રદ્ધા રાખ. હું તને આ સંસારના બધા ભયોમાંથી મુક્ત કરી દઈશ. જિંદગી એક રહસ્ય છે પણ કોયડો નથી. મને યાદ કરજે, મારામાં નિષ્ઠા રાખજે. કદીયે હતાશ થઈશ નહીં. તું હાંક મારજે, હું અચૂક હાજર થઈ જઈશ કારણ કે તું મારું સર્વશ્રેષ્ઠ સર્જન છે. તું મને વ્હાલો છે..............

('ઈન્ટરનેટ પરથી')

Wednesday, September 19, 2012

માર્ગમાં અડચણ

ઘણાં વર્ષો પહેલાં એક રાજાએ એક વાર પોતાના નગરમાં પ્રજાની કસોટી કરવા મુખ્ય માર્ગની વચ્ચોવચ એક મોટો પથ્થર મૂકાવ્યો.પછી તે થોડે દૂર એક ઝાડ પાછળ સંતાઈને જોવા લાગ્યો કે કોઈ એ પત્થરને હટાવે છે કે નહિં.રાજાના કેટલાંયે ઓળખીતા શ્રીમંત વેપારીઓ અને દરબારીઓ તે પત્થર પાસેથી પસાર થઈ ગયાં પણ કોઇએ એ પત્થર માર્ગ વચ્ચેથી ખસેડ્યો નહિં.કેટલાક નગરજનોએતો રાજાને માર્ગની યોગ્ય દેખરેખ ન રાખતો હોવાની નિંદા કરી રાજાને ગાળો પણ ભાંડી પણ કોઇએ અન્ય વિશે ન વિચાર્યું અને માર્ગ વચ્ચે નડી રહેલા એ પત્થરને ખસેડી બાજુ પર ન મૂક્યો.


થોડાં સમય બાદ એક ગરીબ શાકભાજી વેચીને ગુજરાન ચલાવતો ભોળો ગામડિયો ત્યાંથી પસાર થયો.તેના માથે શાકભાજી ભરેલો મોટો વજનદાર ટોપલો હતો.પણ જેવી તેની નજર રસ્તા વચ્ચે પડેલા અડચણરૂપ પથરા પર પડી કે તરત તેણે પોતાનો ટોપલો માથા પરથી નીચે ઉતારી બાજુ પર મૂક્યો અને તે પથરો તેણે ઉપાડી રસ્તાની એક બાજુએ કોઈને નડે નહિં એ રીતે મૂકી દીધો. પથરો મોટો હતો અને તેને ખસેડી,ઉપાડતા એ ગરીબ શાકભાજીવાળાને ખાસ્સો શ્રમ પડ્યો અને તે પસીને રેબઝેબ થઈ ગયો. પણ તે ફરી પોતાનો બાજુએ મૂકેલો ટોપલો લેવા પાછો ફર્યો ત્યારે તેનું ધ્યાન તેણે ખસેડેલા પત્થર નીચે ઢંકાઈને પડેલી સોનામહોર પર પડી. ગરીબ પણ પ્રમાણિક એવો તે શાકભાજીવાળો સોનામહોર જોઈ વિચારમાં પડી ગયો ત્યાં જ રાજાએ તેની પાસે આવી એ મહોર પોતે ઉપાડી તેને ભેટમાં આપી અને એ તેને માનભેર રાજમહેલમાં લઈ ગયો અને દરબાર વચ્ચે એણે તેનું બીજી પચાસ સોનામહોર ભેટમાં આપી.

ઘણી વાર જીવનમાં અડચણ આપણાં માટે સુવર્ણ તક સમાન સાબિત થતી હોય છે.આપણે માત્ર પોતાના અંગત સ્વાર્થનો વિચાર ન કરતાં બીજાઓના ભલાનો વિચાર પણ કરવો જોઇએ.

('ઈન્ટરનેટ પરથી')

Monday, September 17, 2012

વીણેલાં મોતી

લાખો મુસાફર પસાર થઇ જાય તો પણ,


'કોઈકના' પગલા કાયમ માટે

યાદ રહી જાય છે!!


સબંધના મોતી પરોવી રાખજો!!...

એ'જીવન' છે!!


વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો,

અમે ક્યાં કીધું કે

અમારા જ દોસ્ત બનીને રહો,

પણ તમારા દોસ્તો ની યાદીમાં,

એક નામ અમારું પણ રાખજો!!

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

કેટલાક સંબંધો

જીવન સાથે વણાઈ જાય છે,

કેટલીક યાદો

સ્વપ્ન બની ને રહી જાય છે,

લાખો મુસાફર પસાર થઇ જાય તો પણ,

'કોઈકના' પગલા

કાયમ માટે યાદ રહી જાય છે!!

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

ઝીંદગી મળવી એ નસીબની વાત છે

મોત મળવું એ સમયની વાત છે

પણ મોત પછી પણ

કોઈના દિલમાં જીવતા રેહવું

એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે..

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

પાનખરમાં વસંત થવું મને ગમે છે,

યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,

આંખ ભીની તો કાયમ રહે છે,

તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

મોકલું છું મીઠી યાદ

ક્યાંક સાચવી રાખજો,

મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,

તડકામાં છાયો

ના લાવી શકે તો કંઈ નહિ,

ખુલા પગે તમારી સાથે ચાલશે

એ જ યાદ રાખજો.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે,

જે નામંજુર હોય તે જ કરવું પડે છે,

રોવાનો અધિકાર પણ

નથી આપતું આ જગત,

ક્યારેક લોકોને બતાવવા માટે

હસવું પણપડે છે. . .

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

આંસુ સુકાયા પછી જે મળવા આવે...

એ "સંબંધ છે", ને...

આંસુ પહેલા મળવા આવે....,

એ પ્રેમ છે

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

દરેક ઘર નું સરનામું તો હોય...પણ....

... ગમતા સરનામે ઘર બની જાય.....

એ જીવન છે!!



('ઈન્ટરનેટ પરથી')

Sunday, September 2, 2012

રવિન્દ્રનાથ ટાગોરની એક સુંદર કવિતા

ઇશ્વરના ચરણોમાં પુષ્પ ચઢાવવા મંદિર ન જશો,


પહેલા તમારા ઘરને પ્રેમની ખુશ્બોથી મધમધતું કરજો...

ઇશ્વર સામે દિવો પેટાવવા મંદિર ન જશો,

પહેલા તમારા હ્રદયમાં રહેલા પાપોના અંધારા દૂર કરશો...

ઇશ્વર સામે તમારું શીશ પ્રાર્થનામાં ઝૂકાવવા મંદિર ન જશો,

પહેલા તમારી સામેના માણસની નમ્રતા અને માણસાઈ સામે આદર અને સન્માનથી ઝૂકતા શીખજો...

ઇશ્વર સામે ઘૂંટણિયે ઝૂકી પ્રાર્થના કરવા મંદિર ન જશો,

પહેલા તમારી સામે દુ:ખો અને અન્યાયથી ચગદાઈ ગયેલા વ્યક્તિને ઉભો કરવા ઝૂકશો...

ઇશ્વર સામે તમારા પાપોની ક્ષમા યાચના કરવા મંદિર ન જશો,

પહેલા તમારી સાથે જેણે અન્યાય કર્યો હોય કે જેણે તમને દુભવ્યા હોય તેમને હ્રદયપૂર્વક માફી આપશો...


('ઈન્ટરનેટ પરથી')

Saturday, August 25, 2012

હકારાત્મક ચહેરો

થોમસ જેફરસન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હતાં.તેમનાં પ્રમુખકાળ દરમ્યાન એક વાર તેઓ કેટલાક સહપ્રવાસીઓ સાથે એક જગાએ ફસાઈ ગયાં જ્યાં નદીમાં પૂર આવ્યું હતું અને તેમને નદી પાર કરી બીજે કાંઠે જવાની ફરજ પડી.ઘણાં લોકો પાસે ઘોડા હતાં અને તેઓ ઘોડાની પીઠ પર બેસી નદી પાર જવા અને પોતાનું જીવન બચાવવા પ્રયત્ન કરી રહ્યાં હતાં.એક એકલો ગરીબ માણસ ગાંડીતૂર બનેલી નદી જોઈ ખૂબ ગભરાઈ ગયો અને તેણે નદી પાર કરવા જેફરસનની મદદ માંગી.જેફરસનેતો જરા પણ ખચકાયા વગર તે માણસને પોતાના માથે ખભા પર બેસી જવા કહ્યું અને ક્ષણવારમાં તેઓ નદીને બીજે કાંઠે સુરક્ષિત પહોંચી ગયા. ત્યાં જ કોઈક જેફરસનને ઓળખી ગયું અને તેણે તરત પેલા ગરીબ માણસને પૂછ્યું:"અલા તને પ્રમુખ સાહેબની મદદ માગતા જરા સરખો સંકોચે ન થયો?" એ માણસતો શોકથી દિગ્મૂઢ બની ગયો!તેને વિશ્વાસ બેસતો નહોતો કે પોતાના ખભે બેસાડી નદી પાર કરાવી તેનો જીવ બચાવનાર બીજું કોઈ નહિં પણ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ થોમસ જેફરસન પોતે હતા!તેણે થોડા સમય બાદ સ્વસ્થ થયા પછી જવાબ આપ્યો,"તમારામાંના મોટા ભાગના લોકોના ચહેરા પર 'ના' લખેલી હતી,માત્ર પ્રમુખસાહેબના ચહેરા પર 'હા' લખેલી વર્તાઈ.તેમના 'હકારાત્મક ચહેરા'એ જ મને તેમની મદદ માગવા પ્રેર્યો."


ચાર્લ્સ સ્વિન્ડોલ કહે છે:"હું રોજ સૌથી મહત્વનો એક નિર્ણય લ ઉં છું જે હોય છે મારા અભિગમને પસંદ કરવાનો.જ્યારે મારો અભિગમ સાચો(યોગ્ય) હોય છે ત્યારે કોઈ બંધન અતિ કઠણ નથી બની રહેતું, કોઈ ખીણ ઉંડી નથી ભાસતી, કોઈ સ્વપ્ન અશક્ય નથી જણાતું કે કોઈ પડકાર અશક્ય નથી લાગતો."

('ઈન્ટરનેટ પરથી')

Saturday, August 18, 2012

સારા માણસો આપણી આસપાસ વસતાં હોય છે (ભાગ - ૨)

"અમે ૩૦ જણ હતાં જ્યારે રાત્રિના અંધકારમાં અમને પોઇન્ટ ૪૮૭૫ પર કબ્જો જમાવી લેવાનો આદેશ અપાયો. દુશ્મનો ટોચેથી ગોળીઓનો વરસાદ વરસાવી રહ્યા હતાં. કઈ ગોળી ક્યાંથી આવશે અને કોને વાગશે તેની કોઈ ખબર કોઈને નહોતી. સવારે જ્યારે ટોચ પર અમે આપણો ભારતીય ત્રિરંગો લહેરાવ્યો ત્યારે અમારા માંના માત્ર ચાર જણ જીવતા બચ્યા હતાં."


"શું તમે એક..."

"હું સુબેદાર સુશાન્ત છું, ૧૩મી જમ્મુ અને કાશ્મીર રાઈફલ ટુકડીમાંથી જે કારગિલમાં પિક ૪૮૭૫ પર ફરજ બજાવી રહી હતી. તેમણે હવે મને જણાવ્યું છે કે મેં મારો ફરજગાળો પૂર્ણ કર્યો છે અને હવે હું કોઈ સરળ અસાઈનમેન્ટ પસંદ કરવા સ્વતંત્ર છું. પણ તમે જ કહો સર, શું માત્ર જીવન થોડું સરળ બની રહે એ માટે કોઈ પોતાની ફરજ છોડી શકે?

જ્યારે અમે પિક ૪૮૭૫ પર વિજય મેળવ્યો ત્યારે મારો એક સાથી ત્યાં બરફ પર જખ્મી પડ્યો હતો અને દુશ્મનોની ગોળીથી સહેલાઈથી વિંધાઈ જઈ શકે એમ હતું અને અમે બંકરો પાછળ છૂપાઈ રહ્યા હતા.

એ સૈનિકના ઘાયલ શરીરને ત્યાંથી ખેંચી સુરક્ષિત સ્થળે લઈ આવવાની મારી ફરજ હતી જેથી તેનો જીવ બચાવી શકાય પણ મારા ઉપરી કેપ્ટન સાહેબે મને એમ કરવાની મંજૂરી ન આપી અને તેઓ પોતે એમ કરવા માટે આગળ ધસી ગયા.

તેમણે કહ્યું તેમણે એક જેન્ટલમેન કેડેટ તરીકેની પહેલી પ્રતિજ્ઞા એ લીધી હતી કે તેમના માટે રાષ્ટ્રની સુરક્ષિતતા અને કલ્યાણ સૌથી અગ્રિમ સ્થાને રહેશે પછી પોતાના સૈનિક ભાઈઓની સુરક્ષા અને કલ્યાણ, જે તેના હાથ નીચે અને તેની સાથે કે તેના ઉપરી હોય અને પોતાની સુરક્ષા અને પોતાના કલ્યાણ તેમના માટે સદાયે સૌથી છેલ્લા ક્રમે રહેશે."

મારા એ ઘવાયેલા સૈનિક મિત્રની જાન બચાવવા, તેની ઢાલ બની જઈ, તેના શરીરને બંકર સુધી લઈ આવતા, મારા ઉપરી કેપ્ટન સાહેબ મારી નજર સમક્ષ દુશ્મનોની ગોળીઓથી વિંધાઈ જઈ શહીદ થઈ ગયા. એ પછી રોજ સવારે જ્યારે અમે સાવધાન થઈ ઉભા રહેતા ત્યારે મને મારા એ ઉપરી સાહેબ મારા શરીર પર વાગવી જોઇતી હતી એ બધી ગોળીઓ પોતાના શરીર પર ઝીલી લેતા હોય એવું સ્મરણ થતું. હું જાણું છું સર, હું જાણું છું 'લાઈન ઓફ ફાયર' પર ઉભા રહેવું કેટલું અઘરું છે."

વિવેક તે યુવાનની સામે, તેને વિશ્વાસ ન બેસતો હોય એવી મુદ્રા સાથે, બાઘો બની તાકી રહ્યો. તે નક્કી કરી શક્યો નહિં કે કઈ રીતે પ્રતિભાવ આપવો.તેણે તરત પોતાનું લેપટોપ બંધ કરી દીધું.

એવી એક વ્યક્તિ સામે વર્ડ ડોક્યુમેન્ટ એડિટ કરવું તેને સાવ ક્ષુલ્લક લાગ્યું જેના માટે વીરતા અને ફરજ તેના જીવનનો અને કાર્યનો અંતરંગ હિસ્સો હોય અને આમ છતાં તેને તેનો લેશ માત્ર પણ અહંકાર ન હોય અને પોતાના ઉપરીઓ માટે જેને ભારોભાર માન અને આદર હતાં.સ્ટેશન આવ્યું અને ટ્રેન ધીમી પડી અને સુબેદાર સુશાન્તે પોતાનો સામાન ઉપાડી ઉતરવાની તૈયારી કરી."તમને મળીને ખૂબ આનંદ થયો સર."તેણે કહ્યું અને વિવેક સાથે હાથ મિલાવવા પોતાનો હાથ લંબાવ્યો.

વિવેકે અતિ ક્ષોભ અનુભવ્યો અને તે બરાબર હાથ પણ મિલાવી શક્યો નહિં. આ એ જ હાથ હતો...જે પહાડો પર ચડ્યો હતો, જેણે દેશની રક્ષા કાજે બંદૂક ચલાવી દુશ્મનો પર ગોળીઓ છોડી હતી અને જેણે ત્રિરંગો લહેરાવ્યો હતો.અચાનક વિવેક સાહજિક સ્ફુરણાથી ઉભો થઈ ગયો અને તેનો જમણો હાથ તેના કપાળ સુધી પહોંચી ગયો,સુબેદાર સુશાન્તને સલામી આપવા! આટલું તો એ તેના દેશ માટે કરી જ શકે એમ હતો.સુબેદાર સુશાન્તે વર્ણવેલ પીક ૪૮૭૫ જીતી લેવાનો કિસ્સો એ કારગિલના યુદ્ધ દરમ્યાન બનેલી સત્ય ઘટના છે.જ્યારે વિજય હાથવેંતમાં જ હતો ત્યારે કેપ્ટન બત્રાએ પોતાના હાથ નીચે કામ કરતા એક જવાન કમાન્ડોનો જીવ બચાવવા પોતાના પ્રાણની આહૂતિ આપી દીધી.આ અને આવા બીજા પણ અનેક વીરતાભર્યાં પરાક્રમો બદલ તેમનું દેશના સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર પરમ વીર ચક્ર આપી સન્માન પણ કરાયું હતું.નમ્રતા પૂર્વક જીવો, આપણી આસપાસ મહાન લોકો જીવતા હોય છે.ચાલો તેમની પાસેથી કંઈક શીખીએ.

જીવન એટલે ઝંઝાવાતમાં કઈ રીતે ટકી રહેવું એ નહિં પણ કઈ રીતે વરસાદમાં નાચીને તેનો ભરપૂર આનંદ લૂંટવો એ છે!

(સંપૂર્ણ)


('ઈન્ટરનેટ પરથી')

Thursday, August 16, 2012

સારા માણસો આપણી આસપાસ વસતાં હોય છે (ભાગ - ૧)

આ એક સાચી વાર્તા છે.શતાબ્દી ટ્રેનમાં એક યુવાન અને એક સોફ્ટવેર એન્જિનિયર વચ્ચે થયેલો આ સંવાદ અતિ રસપ્રદ અને અચૂક વાંચવા લાયક છે.


વિવેક પ્રધાન એક દુ:ખી આત્મા હતો. શતાબ્દી એક્સપ્રેસના એરકન્ડિશન્ડ ડબ્બાની આરામદાયક મુસાફરી દરમ્યાન પણ તેનું મન ઉદ્વિગ્ન હતું,તેના મનને શાંતિ નહોતી અને તેની નસો તણાયેલી હતી.તે હજી પ્રોજેક્ટ મેનેજર હતો અને તેનું પદ હજી વિમાનની હવાઈ મુસાફરીનો લાભ મેળવવા જેટલું ઉંચુ નહોતું! તેણે કંપનીના એડમિન સાથે માથાઝીંક પણ કરી જોઈ હતી કે હવાઈ મુસાફરીથી કેટલો સમય બચી જાય અને જો એ સમયનો તે સદુપયોગ કરી મહત્વના કામો પૂરા કરી શકે તો તેના માથે ઝળૂંબી રહેલા કામના ડુંગરનો ભાર થોડો હળવો થાય! એક પ્રોજેક્ટ મેનેજરને કેટકેટલા કામ કરવાના હોય છે! પણ એડમિનને રીઝવવામાં તેને સફળતા ન મળી અને તેણે શતાબ્દીથી જ મન મનાવવું પડ્યું!

તેણે પોતાની બેગ ખોલી અને જીવનના અવિભાજ્ય અંગ બની ગયેલ લેપટોપ કાઢ્યું. સમય નો સદુપયોગ કરી કામ નો બોઝ થોડો હળવો કરવા!

"શું તમે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં કામ કરો છો સર?" તેની બાજુમાં બેસેલા સહપ્રવાસી યુવાને કુતૂહલ અને માન ભરી દ્રષ્ટી લેપટોપ તરફ નાખતા પૂછ્યું.

વિવેકે તેના તરફ અલપઝલપ જોઈ હકારમાં ડોકું ધૂણાવ્યું અને લેપટોપની અતિ મોંઘી કારની જેવી કાળજી લઈએ તેટલા ધ્યાનપૂર્વક ચાલુ કર્યું અને બેઠક સામે પાટીયા પર ગોઠવ્યં.

"તમે લોકોએ દેશમાં કેટલી બધી આધુનિકતા આણી છે સર! આજે એક પણ એવું ક્ષેત્ર નહિં હોય જે કમ્પ્યુટરાઈઝ્ડ નહિં હોય!"

વિવેકે સસ્મિત આભાર માનતા હવે પેલા યુવાન તરફ વ્યવસ્થિત રીતે જોયું.તેની પ્રશંસા તેની નબળાઈ હતી! કોઈ તેના વખાણ કરે એ તેને ખૂબ ગમતું.પેલા યુવાનનું શરીર કોઈ રમતવીર જેવું કસાયેલું હતું.તે ખૂબ સાદો હતો અને શતાબ્દીના આ રજવાડી પરિસરમાં અસ્થાને લાગતો હતો.કદાચ એ રેલવે ખાતાના કોઈ અધિકારીનો સગોવહાલો હશે અને મફત સવારીનો લાભ એ લાગવગને આધારે લઈ રહ્યો હશે એવું અનુમાન વિવેકે કર્યું.

"તમારું કામ જોઈ હું હંમેશા આશ્ચર્ય અને અહોભાવ અનુભવું છું! તમે એક ઓફિસમાં બેસી કમ્પ્યુટર પર કંઈક લખો છો જેને કારણે બહારની દુનિયામાં અકલ્પનીય મોટી મોટી વસ્તુઓ શક્ય બને છે!" પેલા યુવાને કહ્યું.

વિવેકે તિરસ્કારભર્યું સ્મિત કર્યું.તે યુવાનની અજાણતા અને ભોળપણ પર તેને ગુસ્સો આવ્યો.તેણે યુવાનને સમજાવતો હોય એ રીતે કહ્યું,"મિત્ર એ લાગે છે એટલું સરળ નથી. એ માત્ર એક જગાએ બેસી કેટલીક લાઈન્સ લખવા જેટલું જ સિમીત ,મર્યાદિત નથી.તેની પાછળ ઘણી બધી પ્રક્રિયાઓ થતી હોય છે."

એક ક્ષણ માટે તો વિવેકને પેલા અબુધ યુવાનને આખી સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ સમજાવવાની અદમ્ય ઇચ્છા થઈ આવી! પણ તેણે માત્ર આટલું જ કહ્યું:"આ અતિ સંકુલ (કોમ્પ્લેક્સ) છે,અતિ સંકુલ!"

"હોવું જ રહ્યું. તમને એ માટે કેટલો બધો ઉંચો પગાર મળે છે!" યુવાને પ્રતિભાવ આપ્યો.

વિવેકે આ મુજબનો પ્રતિભાવ નહોતો ધાર્યો.અત્યાર સુધીના તેના સમજાવટના મિત્રાચારી ભર્યા સૂરમાં હવે થોડો રોષ અને અકળામણ ભળ્યા.

"બધાને પૈસો જ દેખાય છે.કોઈને અમારી અથાગ મહેનત નથી દેખાતી.ભારતીયોની મહેનતની વ્યાખ્યા કેટલી સંકુચિત છે.માત્ર અમે એરકન્ડિશન્ડ ઓફિસમાં બેસી કામ કરિએ એટલે અમારી મહેનત ઓછી નથી થઈ જતી.તમે તમારા બાવડાનું બળ વાપરો છો અને અમે મગજની કસરત કરીએ ચીએ પણ એ જરાયે ઓછું કે ઉતરતું નથી."

તેણે જોયું કે તેના આ વાક્યોની પેલા યુવાન પર ધારી અસર થઈ હતી.તેણે આગળ ચલાવ્યું:"મને એક ઉદાહરણ આપવા દે.આ ટ્રેનનો જ દાખલો લે.આખી રેલવે ટિકીટ આરક્ષણ પધ્ધતિ આજે કમ્પ્યુટરાઈઝ્ડ થઈ ગઈ છે. તમે આખા દેશના ગમે તે બે સ્ટેશન વચ્ચેની ટિકીટ, દેશના ગમે તે સંગણીક્રુત બુકિંગ સેન્ટરેથી સહેલાઈથી બુક કરી શકો છો.

એક જ કેન્દ્રિય ડેટાબેઝનો સંપર્ક કરી એકી સાથે એક જ સમયે હજારો બુકિંગ્સ શક્ય બને છે.એ પણ સુરક્ષિતતા,માહિતીની ચોકસાઈ અને અખંડતા જાળવીને.આવી કોમ્પ્લેક્સ સિસ્ટમ ડીઝાઈન અને કોડ કરવી કેટલું અઘરૂં કાર્ય છે તેની તને કલ્પના પણ આવે છે?"

યુવાન છોભીલો પડી ગયો.કોઈ બાળક પરીલોકમાં પહોંચી આભો બની જાય એમ જ! આ બધું ઘણું વિશાળ અને તેની કલ્પના બહારનું હતું.

"તમે આવી વસ્તુઓનું ડીઝાઈનિંગ અને કોડીંગ કરો છો...?"

વિવેકે થોડા અટક્યા બાદ જવાબ આપ્યો,"એ હું કરતો હતો, થોડા વર્ષો અગાઉ સુધી. હવે હું પ્રોજેક્ટ મેનેજર છું.

યુવાને સાહજિકતાથી કહ્યું,"ઓહ..તો હવે તમારું જીવન સરળ છે!"

વિવેક માટે આ છેલ્લો ઝટકો હતો! તે તાડુક્યો,"કેવી વાત કરે છે! તમે જેમ જેમ કારકિર્દીની સીડીમાં ઉપર ચઢતા જાવ તેમ તેમ તમારી જવાબદારીઓ વધતી જાય છે અને તમારા કામનો બોજો પણ. ડીઝાઈન અને કોડિંગ કદાચ સહેલું હશે. એ હવે મારે કરવાનું હોતું નથી પણ હું તેના માટે જવાબદાર હોઉં છું અને સાચું કહું તો એ વધારે તણાવભર્યું છે.મારું કામ છે કામ કઢાવવાનું અને તે પણ મર્યાદિત નિર્ધારિત સમયમાં અને પાછું ઉત્તમ ગુણવત્તા ધરાવતું!

કામના દબાણ વિષે તો તને શું વાત કરું! એક બાજુ કસ્ટમર એટલે કે ગ્રાહક હોય છે જે હંમેશા રીક્વાયર્મેન્ટ એટલે કે તેની માગ બદલતો રહે છે તો બીજી બાજુ યુઝર હોય છે જેને કંઈક બીજું જ જોયતું હોય છે અને એક બાજુ તમારો બોસ હોય છે જે ક્યારેય તમારા કામથી સંતુષ્ટ નથી હોતો.”

આટલું બોલી ગયા બાદ થોડું વધારે પડતું અને એ પણ આક્રમકતા પૂર્વક બોલાઈ ગયું એવો અહેસાસ થતાં વિવેક શાંત થઈ ગયો. તેને સાથે એવો પણ વિચાર આવ્યો કે તેણે જે કંઈ કહ્યું એ ભલે પોતે થોડા વધુ ભાવુક થઈ જઈ પોતાની ભડાશ બહાર કાઢવા કહ્યું પણ એ સત્ય જ તો હતું પછી પોતે શા માટે જરા સરખુંયે પસ્તાવું જોઇએ?

છેવટે તેણે પોતાની વાતના ઉપસંહાર જેવું કંઈક બોલતા કહ્યું : ”મારા મિત્ર તને ખબર નથી આ પરિસ્થિતી ‘લાઈન ઓફ ફાયર’ (અગ્નિપરીક્ષા) જેવી જ હોય છે.”

આ શબ્દો સાંભળતા જ જાણે એ યુવક ક્યાંક ખોવાઈ ગયો. તે પોતાની બેઠક પર થોડો પાછળ ખસી આંખો બંધ કરી કંઈક યાદ કરતો હોય એમ ધ્યાન સમાધિમાં સરી પડ્યો.થોડી ક્ષણો પછી તે જ્યારે બોલ્યો ત્યારે તેના સ્વરમાં રહેલી મક્કમતાએ વિવેકને આશ્ચર્યચકિત કરી મૂક્યો.

યુવાને કહ્યું:”હું જાણું છું. સર, હું બરાબર જાણું છું ‘લાઈન ઓફ ફાયર’ પર હોવ ત્યારે કેવો અનુભવ થાય છે…”

તે ભાવશૂન્ય નજરે એક ચોક્કસ દિશામાં તાકી રહ્યો હતો જાણે આજુબાજુનું બધું તેણે વિસારે પાડી દીધું હોય એ રીતે…જાણે ટ્રેન ન હોય, કોઈ યાત્રી ન હોય, ફક્ત સમયનો અનંત ખંડ જ માત્ર અસ્તિત્વ ધરાવતો હોય એમ…

(ક્રમશ:)


('ઈન્ટરનેટ પરથી')

Sunday, August 5, 2012

ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ : સાચા મિત્રો

સાચા મિત્રના ગુણ કયા કયા?

સાચા મિત્રો તમારા સારા સાથી બની રહેતા હોય છે,તેમની સાથે તમને સામાન્ય કામો કરવાની મજા તો આવે જ છે, પણ તેમના સહવાસ માત્રમાંયે તમને આનંદ આવે છે.

સાચા મિત્રો સાથે કયું કામ કરો છો તે ગૌણ બની રહે છે અને તમે તેમની સાથે હોવ તે જ સૌથી અગત્યની બાબત હોય છે.

સાચા મિત્રોની હાજરી તમે ખુશ હોવ ત્યારે તો ઝંખો જ છો પણ તેમની હાજરી તમને કપરા કાળમાંયે શાતા આપનારી બની રહે છે.

સાચા મિત્રો પોતે પણ તમારા સારા સમયમાં તો તમારી સાથે રહેવું પસંદ કરતાં હોય છે પણ તમારા દુ:ખના સમયમાંયે તમારી પડખે ઉભા રહી, તમારો અડગ સહારો બની રહે છે,તમને સમય આપે છે.

સાચા મિત્રો તમારા વિષે તો ઘણું બધું જાણતા જ હોય છે પણ તે તમનેય સાચા અર્થમાં જાણતા હોય છે,તમારા ખરા વ્યક્તિત્વને પિછાણતા હોય છે.

સાચા મિત્રોએ તમારો શ્રેષ્ઠ સમય જોયો હોય છે અને તમારા કનિષ્ઠ સમયમાં સાથ નિભાવી તેનાં પણ એ સાક્ષી બન્યા હોય છે.

સાચા મિત્રો તમારી અકળાવી મૂકનારી આદતો સહન કરે છે,મૂર્ખતા ભરી વાતો સાંભળે છે, ખરાબ ટૂચકા કે રમૂજ પર પણ હસે છે અને તમે તેમને આપેલા વચન ન નિભાવો ત્યારે પણ તેઓ એ સહન કરે છે.એથી બે ડગલા આગળ વધીને ક્યારેક તો તેઓ તમારા તરફથી થયેલી ઉપેક્ષા, ક્રોધ અને અણછાજતી ટીકાટીપ્પણી પણ સહન કરી લે છે.

સાચા મિત્રોએ તમારો શ્રેષ્ઠ સમય જોયો હોય છે અને તમારા કનિષ્ઠ સમયમાં સાથ નિભાવી, તેનાં પણ એ સાક્ષી બન્યા હોય છે.

સાચા મિત્રો સદાયે તમને માફી આપે છે કારણ તેમને મન જે બાબતે તમને ઉશ્કેર્યા તેના કરતાં તમારી દોસ્તીનું મહત્વ વિશેષ હોય છે.

સાચા મિત્રો તમારા પક્ષમાં જ હોય છે અને જ્યારે તમને તેમની જરૂર હોય ત્યારે હંમેશા તેઓ તમારા માટે હાજર હોય છે.

સાચા મિત્રો તમને એક ઉત્તમ કક્ષાના મૂલ્યવાન ચિત્ર સમાન ગણે છે, તમારી સાથે એ રીતે વર્તન કરે છે, તમને બીજાઓ સમક્ષ એ રીતે ચિત્રે છે,વર્ણવે છે.

સાચા મિત્રો તમારી સફળતાઓ માટે ગૌરવ અનુભવે છે, ઇર્ષ્યા નહિં. તેઓ તમારા વ્યક્તિત્વને ઘડે છે અને તમારો વિનાશ નથી નોતરતાં.

સાચા મિત્રો તમે દુ:ખી હોવ ત્યારે તમારી સાથે રડે છે અને તમે ખુબ ખુશ હોવ ત્યારે તમારી સાથે નાચે છે,આનંદપ્રમોદમાં સહભાગી થાય છે.

સાચા મિત્રો તમારું સારું ઇચ્છે છે, તમારામાંથી સારામાં સારું (કૌવત) બહાર લાવે છે અને તમારી પાસેથી પણ સામે સારામા સારું ઝંખે છે.

- માઈકલ જોસેફસન

('ઈન્ટરનેટ પરથી')

Sunday, July 29, 2012

નાના માણસના કામને બિરદાવો અને ખુશી ફેલાવો

તમે સરળતાથી કોઈનું જીવનધોરણ ઉંચુ લાવી શકો છો અને એમ કરીને તમે પોતાનું જીવન ધોરણ પણ ઉંચુ આણો છો.


જો તમને એમ લાગતું હોય કે આ જગતમાં તમે મહત્વનું પરિવર્તન લાવી શકો એમ નથી તો આજે ઇન્ટરનેટ કોર્નરમાં રજૂ કરેલી આ કથા વાંચો.

થોડા સમય અગાઉ, હું અને એની કેલિફોર્નિયાના પેબલ બીચ પર આવેલી પંચતારક હોટલ 'સ્પેનીશ બે' ખાતે રોકાયા હતાં. અમે ત્યાં રહ્યા, એ દરમ્યાન એક કોરિયન યુવતિ ત્યાં અમારા રૂમની સફાઈ કરવા આવતી. તે પોતાનું કામ ખૂબ નિષ્ઠા,ખંત અને ચોકસાઈપૂર્વક કરતી. અમે તેનું નામ જાણી લીધું અને બીજા દિવસે જ્યારે અમારે કામ માટે બહાર જવાનું થયું એ પહેલા મેં તેના નામે, હ્રદય પૂર્વકનો આભાર માનતી અને તેના કાર્યને બિરદાવતી એક નોંધ લખેલી ચબરખી ટેબલ પર રૂમમાં મૂકી દીધી.

સાંજે અમે પાછા ફર્યા ત્યારે તે અમારા રૂમમાં આવી અને તેણે નમ્રતાપૂર્વક અમારો આભાર માન્યો.અમે નોંધ અંગ્રેજીમાં લખેલી અને તેને અંગ્રેજી આવડતું નહોતું પણ તેના ઉપરીએ તેણે અનુવાદ કરી સંભળાવ્યો હતો અને તેની ખુશીનો કોઈ પાર નહોતો! તેના ઉપરીને પણ અમારી નોંધ ખૂબ ગમી.

તેના અમારા રૂમમાં આવવાનું કારણ એ જ હતું કે તે અતિ ભાવુક અને ગળગળી થઈ ગઈ હતી. આથી તે અમારો આભાર વ્યક્ત કરવા ઇચ્છતી હતી અને અમને એ જણાવવા માગતી હતી કે એ ચિઠ્ઠીનું તેને મન કેટલું મહત્વ હતું! સુંદર સ્મિત સહ તેણે અમને વિનંતી કરી કે શું એવી જ એક બીજી ચિઠ્ઠી અમે તેને લખી આપી શકીએ.અમે લખેલી પહેલી આભારનોંધ તો તેના ઉપરીએ પોતાની પાસે રાખી લીધી હતી,હોટલમાં રીસેપ્શન પાસે ખાસ બોર્ડ પર લગાવવા. આથી બીજી નોંધ એ યુવતિ પોતાની પાસે રાખવા ઇચ્છતી હતી જેથી એને જોઈ પોતે રોજ પોતાનું સારું કાર્ય જાળવી રાખવા પ્રેરણા મેળવી શકે!

મેં સહર્ષ તેને બીજી આભારનોંધ લખી આપી.પહેલી આભાર નોંધ સાથે મેં બે ડોલરની ટીપ મૂકી હતી.બીજી વાર મેં તેને પાંચ ડોલરની ટીપ આપી.પણ એ સ્પષ્ટ હતું કે તેને મન પૈસાનું ઝાઝૂં મૂલ્ય નહોતું. તેની હોટલમાં ઉતરેલા અતિથી એ તેની મહેનતની કદર કરી અને તેની સારી કામગિરી બદલ તેની પ્રશંસા કરી એ બદલ તે ગદગદ થઈ ગઈ હતી.

તમે કોઈ પણ હોટલમાં ઉતરો, પછી ભલે તે ફાઈવસ્ટાર હોટલ હોય કે સામાન્ય દરજ્જાની લોજ હોય, ત્યાં સાફસફાઈનું કામ કરતાં કર્મચારીઓ ગરીબ હોય છે અને તેઓ પોતાનું તેમજ પોતાના કુટુંબનું ભરણપોષણ સારી રીતે કરવા એ નોકરી કરતાં હોય છે.તેમનો પગાર કંઈ બહુ વધારે નથી હોતો.

આ કંઈ તેમના માટે સ્વપ્નમાં કલ્પી હોય તેવી નોકરી નથી કે નથી તેની સાથે કોઈ આકર્ષણ કે ભપકો જોડાયેલાં. તેઓ મજબૂરીથી જ હોટલની રૂમના જાજરૂ સાફ કરવાથી માંડી તમારા વાપરેલા ટુવાલ ઉપાડી, કચરો વગેરે સાફ કરવાના કામ કરતાં હોય છે.આ કામ બદલ મોટે ભાગે તેમને કોઈ પ્રતિભાવ આપતું નથી કે તેમને બિરદાવતું નથી.

પણ તમે આવો પ્રયત્ન કરી જુઓ.એકાદ આભારની ચિઠ્ઠી લખી જુઓ.એનાથી તમે માત્ર કોઈકના ચહેરા પર જ સ્મિત નહિં લાવો, પણ એ તેમના માટે જીવનભર સંઘરી રાખવા જેવું સંભારણું બની રહેશે. એનાથી તમને પોતાને પણ ઘણું સારું લાગશે.અને એ તમારો ફક્ત થોડો જ સમય માગી લેશે.

જો તમને સામે વાળી વ્યક્તિનું નામ ખબર ન હોય તો તમે હાઉસકિપીંગના નંબર પર ફોન કરી એ પૂછી શકો છો અથવા તેમની સાથે પ્રત્યક્ષ વાત કરીને પણ એ પૂછી શકો છો.

યાદ રાખો બીજાના ચહેરા પર ખુશી લાવી તમે પોતે પણ ખુશ થયા વગર રહી શકશો નહિં.


('ઈન્ટરનેટ પરથી')

Saturday, July 21, 2012

સાત ધ્યાનમાં રાખવા જેવી વાત


૧. જીંદગીને કોઈ પણ જાતની શરત વગર  પ્રેમ કરો.

૨. તમે નહીં ખર્ચેલા ડોલરના તમે ચોકીદાર છો, માલિક નહીં.

૩. દુનિયામા દરેક માણસ એમ સમજે છે પોતે  ચાલાક છે. કુદરતની ચાલાકીની ખબર છે?

૪. જો તમને પહેરવા કપડા, રહેવા ઘર, બે વખત ખાવા અન્ન મળતું હોય તો ખરા દિલથી ઉપરવાળાનો આભાર માનજો.

૫. એ વાત મહત્વની નથી કે તમે પૈસાદાર છો કે ગરીબ. દરેક માણસનો અંત તો એક સરખો જ છે - ‘મૃત્યુ.’

૬. આજે કરેલા કર્મનું ફળ કદાચ કાલે મળે કદાચ વર્ષે, બે વર્ષે કે પાંચ વર્ષે મળે.

    કદાચ આ જન્મે નહી તો આવતા જન્મે મળે. કર્મની ગતિ અતિ ગહન છે.

૭. એક દિવસ બધું મૂકીને ચાલ્યા જવું પડશે. આ વાત જો સાચી હોય તો જરૂર કરતાં વધારે ભેગું કરવાની શી જરૂર છે?

આપણા બધિર કાન તેં કેમ સાંભળતા નથી.

હવે વિચાર કરી અમલ કરવાની ઘડી આવી ગઈ છે.

અમેરિકામા ગ્રીનકાર્ડ અને નાગરિકત્વ જોઈએ.

ઉપર જવા માટે કોઈ લાગવગ ચાલતી નથી.........   એ સનાતન સત્ય છે.

('ઈન્ટરનેટ પરથી')

વૈદીક ગણિત


5, 25  તથા 50  વડે કોઇપણ સંખ્યાનો ગુણાકાર કરવાની સરળ રીત આજે આપણે ઇન્ટરનેટ કોર્નરમાં જોઇએ.

·         કોઇપણ સંખ્યાને 5 વડે ગુણવું

5=10/2

એટલે

આપેલ સંખ્યાને પહેલાં 10 વડે ગુણી તેનો જે ગુણાકાર(સંખ્યા) આવે તેને 2 વડે ભાગો.

દા.ત.

(1)27X5

27X10=270

270/2=135.



(2)347x5

347x10=3470

3470/2=1735

અભ્યાસ:

દરેક સંખ્યાને 5 વડે ગુણો.

A 752   B 189  C 32.5  D 1240  E 775  F 7120  G 0.633  H 42.3

I  8.99   J 21300  K 7.18  L 0.0325  M 6.34  N 7.15  O 23100 

P 802   Q 910  R 452  S 90500



·         કોઇપણ સંખ્યાને 25વડે ગુણવું



25= 100/4

સંખ્યાને 100 વડે ગુણો એટલે કે સંખ્યાપછી બે મીંડા (00) મૂકો અને જે ગુણાકાર આવે તેને 4 વડે ભાગો.

દા.ત.

1234X25

1234X100=123400

123400/4= 30850

અભ્યાસ:

દરેક સંખ્યાને 25 વડે ગુણો.

A 42  B 115  C 205  D 4050  E 9991  F 189  G 910  H 452

I 899  J 715



·         કોઇપણ  સંખ્યાને 50 વડે ગુણવું

50=100/2

એટલે કે  સંખ્યાને 100 વડે ગુણી 2 વડે ભાગો.

દા.ત. 72 X50

72X100=7200

અને

7200/2=3600



અભ્યાસ:

દરેક સંખ્યાને 50 વડે ગુણો.

A 104X50 B 115X50  C 14.3X50  D 1014X50  E 10.54X50  F 10.03X50

G 1023X50  H 10.31X50  I 10.18X50  J 111.2X50   K 102.8X50  L 88.7X50

M 99.4X50 N 988X50  0.992X50



('ઈન્ટરનેટ પરથી')

Saturday, June 30, 2012

ગુજરાતી એન.આર.આઈ 'બા' નું કોફીન!


ગુજરાતમાં એક કુટુંબને ભારે નવાઈ લાગી જ્યારે તેમના મૃત બા નું શબ એક કોફીનમાં(ખ્રિસ્તીઓના શબને જેમાં સૂવડાવી દફનાવવામાં આવે છે) અમેરિકાથી સીધુ તેમના ઘેર ડીલીવર કરવામાં આવ્યું. બાની એન.આર.આઈ. દિકરીએ તેમનું શબ કોફીનમાં ભારત મોકલી આપ્યું હતું.


બાના મડદાને ખૂબ ચૂસ્ત રીતે કોફીનમા પેક કરેલું હતું અને કોફીન ખોલતાં જ હાથમાં આવે એ રીતે શબ પર એક પત્ર મૂકવામાં આવ્યો હતો. એ પત્ર એન.આર.આઈ બહેને તેના બીજા ભાઈ-બહેનને સંબોધીને લખ્યો હતો. એક ભાઈએ આ પત્ર હાથમાં લઈ વાંચવા માંડ્યો:

વ્હાલા ચંદ્રકાન્તભાઈ, અરવિંદભાઈ, રીમા અને વર્ષા,

હું આ સાથે બા નો પાર્થિવ દેહ મોકલી રહી છું કારણ તેમની એવી અંતિમ ઇચ્છા હતી કે તેમને ગુજરાતમાં,પોતાના વતનમાં,આપણાંપૂર્વજોના ઘરને આંગણે જ દફનાવવામાં આવે.

મને માફ કરશો. નોકરીની બધી રજાઓ વપરાઈ ચૂકી હોવાથી, હું ભારત આવી શકી નથી.

કોફીનમાં બા ના શરીર નીચે ચીઝના ડબ્બા, ટોબલરચોકલેટના દસ પેકેટ અને બદામના આઠ પેકેટ ગોઠવેલા છે. તે તમારા માટે છે.પરસ્પરમાં વહેંચી લેજો.

બા નાપગમાં રીબોકના ૧૦ નંબરની સાઈઝના શૂઝ પહેરાવ્યા છે તે મોહન માટે છે. નીચે રાધા અને લક્ષ્મીના છોકરાઓ માટે બીજા બે જોડી બૂટ પણ ગોઠવ્યા છે. આશા છે તેમને સાઈઝ બરાબર આવી રહેશે.

બાને છ અમેરિકન ટી-શર્ટ્સ પહેરાવેલા છે. તેમાં સૌથી મોટી સાઈઝનું મોહન માટે છે. બાકીના તમારી વચ્ચે વહેંચી લેજો. બાને પહેરાવેલા બે નવા જીન્સ છોકરાઓ માટે છે.

રીમાને જોઈતી હતી એ સ્વીસ વોચ બા ના ડાબા કાંડે પહેરાવેલી છે.

શાંતામાસી, બા એ જે ગળામાં હાર, લટકણિયા અને વીંટી પહેર્યા છે તે તમારા માટે ખાસ મોકલ્યા છે. એ સાચવીને કાઢીને તમે લઈ લેશો.

બા ના પગે પહેરાવેલી છ સફેદ કોટનના મોજાની જોડીઓ મારા વહાલા ભત્રીજાઓ માટે છે.

બધી ચીજવસ્તુઓની વહેંચણી સૂચવ્યા મુજબ ધ્યાનથી બરાબર કરી લેશો.

પ્રેમસહ,
સ્મિતા

તા.ક. : જો બીજું કંઈ વધારે મંગાવવું હોય તો જલ્દી જ જાણ કરશો કારણ આજકાલ બાપુજી પણ સાજા માંદા રહ્યા કરે છે.

('ઇન્ટરનેટ પરથી')

Sunday, June 24, 2012

પિતા ઘર નું અસ્તિત્વ હોય છે

માતા ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા ઘર નું અસ્તિત્વ હોય છે. પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવા માં આવતું.

કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે, દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે. સારી વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે.

પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે. આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશે જ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ?

માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએ જ કરવું પડે છે. અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે.

રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા
પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ?

બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે. માતા રડે છે પણ પિતા તો રડી પણ શકતા નથી. પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે, પોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી. કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે. પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એ જ કરવાનું હોય છે.

જીજાબાઇ એ શિવાજી ને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનત ને પણ ધ્યાનમાં લેવી જોઈએ.

દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ. રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.

પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે. તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા દીકરી ને નવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘો જ વાપરશે. સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાસ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી કે ખાલી પાણી લગાડી ને જ દાઢી કરી લેશે.

પિતા માંદા પડે ત્યારે તરત જ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે. કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.

પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ બાળકને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તે જ તારીખે પરમીટરૂમ માં પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેની જ મજાક ઉડાડે છે.

પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે, તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી. કારણકે ઘરના કર્તાહર્તા જીવંત છે. જો તેઓ કંઈપણ કરતા ન હોય તોપણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોય છે. અને ઘરના કામ જુએ છે, સંભાળે છે.

માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધેજ અર્થ મળે છે એટલેકે પિતા હોયતો જ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે. કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાથમાં લે છે, વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.

બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.



દાઝી ગયા, ઠેશ લાગી કે માર વાગ્યો કે તરતજ “ઓં માં” આ શબ્દો મોઢા માંથી બ્હાર પડેછે પણ રસ્તો
ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારેતો “બાપ રે” આજ શબ્દ બ્હાર પડે છે. નાના સંકટો
માટે ચાલે પણ મોટી સમસ્યાઓ ના વાદ્ળો ઘેરાય ત્યારે પિતાજ યાદ આવે.

કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે.

પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.

યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે.
દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને ?

પિતાનું મહત્વ કોને સમજાય છે ?

બાળપણમાંજ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખુબ નાની ઉમરમાં સંભાળવી પડે છે. તેને એકએક વસ્તુ માટે તરસવું પડે છે. પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે છે ઘર ની દીકરી! સાસરે ગયેલી કે ઘરથી દુર રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાય છે.

કોઈપણ દીકરી પોતાની ઈચ્છા બાજુમાં મુકીને પિતા કહે તે જગ્યાએ લગ્નની વેદી ઉપર ચઢી જતી હોય તેવા પ્રસંગો શું આજે પણ સમાજ માં નથી બનતા? દીકરી પિતાને ઓળખે છે, સાચવે છે. બીજાઓ પણ પોતાને આ રીતે જાણે, ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા બીજાઓ પાસે પિતા રાખે કે નહિ ?

આપણી પાસે તો ઘણા ઉત્સવો છે, જેને ઉજવતી વખતે માતા-પિતા ને યાદ કરી લઈએ. તેમના પ્રત્યેનું ઋણ ચુકવવા આપણે તેમને પગે લાગીએ અને એમના આશીર્વાદ મેળવીએ અને આપણા જ સંસ્કાર, ધર્મ, નાત-જાતના ભેદભાવ વગર આપણી પછીની પેઢીને પણ આપીને યથાશક્તિ પિતૃ તર્પણ કરીએ.

('ઈન્ટરનેટ પરથી')

Saturday, June 16, 2012

આંતરિક સાચી ઓળખ

એક વાર એક માણસ કોઈ દરિયા કિનારે ભટકતા ભટકતા ત્યાં રહેલી એક ગુફામાં જઈ ચડ્યો. ત્યાં ગુફામાં તેને એક ગુણી મળી જેમાં કેટલાક માટીના ગોળ દડા જેવા ગુલ્લા હતાં.એવું લાગતું હતું જાણે કોઈએ સૂર્યપ્રકાશમાં તપાવી આ ગુલ્લા, ભઠ્ઠીમાં જેમ ભઠિયારો ઈંટ પકવે તેમ તપાવીને તૈયાર કર્યા હતાં. આ ગુલ્લામાં પેલા માણસને કંઈ વિશેષ ન જણાયું. પણ તે અમસ્તો જ એ ગુણી પોતાની સાથે ગુફાની બહાર લઈ આવ્યો.


તે દરિયા કિનારે આંટા મારતા મારતા સમય પસાર કરવા, માટીના ગુલ્લા એક પછી એક પોતાનાથી બની શકે એટલા દૂર દરિયામાં ફેંકવા લાગ્યો. તેણે વગર કંઈ વિચાર્યે જ આ પ્રક્રિયા ચાલુ રાખી.પણ ત્યાં એક ગુલ્લુ દરિયામાં એકાદ ખડક પર અફળાયું અને તેના પર રહેલું માટીનું પડ તૂટી જતા તેની નજરે પડ્યું. ખડક પર તે ગુલ્લામાંથી નિકળેલી સોનામહોર ચમકી રહી હતી. તેણે હવે પોતાની પાસે બચેલા થોડાં જ ગુલ્લા પૈકી એકને પત્થર સાથે જોરથી અફાળી તોડી પાડ્યું અને તેમાંથી પણ સોના મહોર બહાર નિકળી. તેણે બાકી બચેલા બધાં ગુલ્લા આ રીતે તોડી પાડ્યા અને તે દરેકમાંથી સોના મહોર નિકળી.

તેને ભાન થયું કે તેણે પચાસથી સાંઠ ગુલ્લા દરિયામાં દૂર ફેંકી દઈ તેટલી સોનામહોરો ગુમાવી દીધી હતી. તેના હાથમાં માત્ર દસ-બાર સોનામહોરો જ આવી. લાખો રૂપિયા મેળવી શકવાને બદલે તેણે માત્ર થોડાં હજાર રૂપિયાના મૂલ્યની મહોરો થી જ સંતોષ માનવો પડ્યો.

કેટલીક વાર આપણી આસપાસના માણસોની બાબતમાં પણ આમ જ બનતું હોય છે.આપણે બીજા સામે જોઇએ કે ઘણી વાર તો આપાણી પોતાની જાત સામે પણ જોઇએ ત્યારે આપણને પેલું બહારનું માટી જેવું આવરણ જ નજરે પડે છે. જેના કારણે ઉપરછલ્લી દ્રષ્ટી એ જ જોતાં અંદરના ખરા ગુણો,મૂલ્યો વગેરેનો ખ્યાલ નથી આવતો.બહારનું પડ સુંદર કે ચકચકિત ન હોવાને કારણે આપણે તેને ગણકારતાં નથી.આપણે ફક્ત બહારથી ટીપટોપ, ફેશનેબલ કે સ્ટાઈલીશ દેખાતી કે સમ્રુદ્ધ વ્યક્તિને વધારે મહત્વની ગણીએ છીએ.

પણ આપણે તે વ્યક્તિની અંદર ભગવાને છૂપાવેલા ખજાનાને પિછાણવાની કોશિશ નથી કરતા.આ છૂપો ખજાનો આપણાં દરેકમાં રહેલો હોય છે.આપણું શરીર જ નહિં આપણું આધ્યાત્મિક વ્યક્તિત્વ પણ અતિ મૂલ્યવાન હોય છે જે પેલા ગુલ્લા પરના માટીના આવરણની જેમ બાહ્ય પડથી ઢંકાયેલું હોય છે.

પણ જો તમે એ અંદરની ખરી વ્યક્તિને જાણવા પ્રયત્ન કરશો અને જો તેની આધ્યાત્મિક ઓળખ કેળવવા પ્રયત્ન કરશો તો પેલી માટી ખરી પડશે અને તમારું આંતરિક વ્યક્તિત્વ ઝળહળા પ્રકાશથી ચમકી ઉઠશે.

('ઈન્ટરનેટ પરથી')

Monday, June 4, 2012

પંચરત્નકણિકા

એક માણસે એક શિલ્પકારને પૂછ્યું : "તું પાષાણમાંથી આવી સુંદર પ્રતિમાઓ કઈ રીતે બનાવે છે?"


શિલ્પકારે જવાબ આપ્યો : "ચિત્ર અને પ્રતિમાઓ તો પાષાણમાં જ છૂપાયેલી હોય છે.હું તો માત્ર બિનજરૂરી પથ્થરને કોતરી કાઢી દૂર કરું છું!"



સાર / ઉપસંહાર : તમારું સાચું સુખ તમારી અંદર જ છૂપાયેલું છે, માત્ર ચિંતાઓ દૂર કરી (છોડી) દો.



* * * * * * * * * * * * * * * * * * * * * * * * *



જીવન એક વાંસળી જેવું છે.તેમાં ઘણાં છિદ્રો અને પોલાપણું કે ખાલી જગા રહેલા છે.પણ જો તમે એનો ધ્યાનથી યોગ્ય ઉપયોગ કરી જાણો તો તેમાંથી મંત્રમુગ્ધ કરી દેનાર જાદુઈ સંગીતનું નિર્માણ થઈ શકે છે.



* * * * * * * * * * * * * * * * * * * * * * * * *



તંદુરસ્તી મોટામાં મોટી ભેટ છે.સંતોષ મોટામાં મોટી સંપત્તિ અને શ્રદ્ધા તેમજ વફાદારી મોટામાં મોટા સંબંધ છે. - ગૌતમ બુદ્ધ



* * * * * * * * * * * * * * * * * * * * * * * * *



યોગ્ય કે લાયક વ્યક્તિ સાથે સમજૂતી ખોટાં કે અયોગ્ય વ્યક્તિ સાથે દલીલ કરતાં વધુ સારી છે.



* * * * * * * * * * * * * * * * * * * * * * * * *



સૌથી સારું કોઈના વિચારોમાં રહેવું અને સૌથી સુરક્ષિત કોઈની પ્રાર્થનામાં હોવું - એ છે.



* * * * * * * * * * * * * * * * * * * * * * * * *


('ઈન્ટરનેટ પરથી')

Sunday, May 27, 2012

વિચાર મહત્વનો છે


એક ગામમાં એક ડોસો રહેતો હતો. તેને પોતાનું બટાટાનું ખેતર ખેડવું હતું પણ દુર્બળ થઈ ગયેલા ડોસા માટે આ એક ખૂબ અઘરૂં કામ હતું. કામ તેનો એક માત્ર જુવાન દિકરો કરી શકે તેમ હતો. પણ તે જેલમાં તેણે કરેલા કોઈક ગુના બદલ સજા ભોગવી રહ્યો હતો.

ડોસાએ તેના પુત્રને એક પત્ર લખ્યો જેમાં તેણે પોતાની સ્થિતી આ મુજબ વર્ણવી:

વ્હાલા દિકરા,
મને ખૂબ ખરાબ લાગી રહ્યું છે કે આપણો બટાટાનો પાક આ વર્ષે નહિં ઉતરી શકે. તારી માતાના કેટલા અરમાન હતાં કે આપણે આ વર્ષે બટાટાનો પાક ઉતારીએ.પણ મારા બાવડામાં હવે બળ રહ્યું નથી કે હું આપણું આવડું મોટું ખેતર ખેડી શકું. તુ અહિં હોત તો પરિસ્થિતી જુદી હોત. તેં ચોક્કસ ઘણા ઓછા સમયમાં ખેતર ખેડી નાંખ્યું હોત. કેટલું સારૂ હોત જો તુ જેલમાં ન હોત અને અહિં મારી સાથે આપણાં ખેતર પાસે હોત!
પ્રેમ સહ,
તારો કમનસીબ બુઢ્ઢો બાપ

થોડા જ સમયમાં ડોસાને એક તાર મળ્યો : "મહેરબાની કરીને પપ્પા ખેતર ખેડતા નહિં. તેમાં મેં શસ્ત્રો છૂપાવી રાખ્યા છે."
બીજે દિવસે સવારે ચાર વાગે દસ-બાર ગણવેશધારી પોલીસ તેમજ લશ્કરી દળના જવાનો ડોસાના ખેતરમાં આવી પહોંચ્યા અને તેમણે આખું ખેતર ખોદી (ખેડી) કાઢ્યું. પણ તેમને ત્યાંથી એક પણ શસ્ત્ર મળ્યું નહિં.
મૂંઝાયેલા ડોસાએ તેના દિકરાને બીજી એક ચિઠ્ઠી લખી મોકલાવી જેમાં તેણે શું બની ગયું તેની વિગતો લખી મોકલાવી અને પૂછ્યું કે હવે શું કરવું જોઇએ.
દિકરાએ વળતો જવાબ મોકલ્યો:"પપ્પા,હવે તમે લહેરથી જઈને બટાટા વાવી દો! અહિં બેઠા બેઠા આનાથી વિશેષ હું તમારા માટે કંઈ જ કરી શકું એમ નથી!"

ઉપસંહાર :
ભલે તમે દુનિયાના ગમે તે ખૂણે હોવ,પણ જો તમે કંઈક કરવાનો દ્રઢ નિર્ધાર કરી લો છો, હ્રદયના ઉંડાણથી, તો એ તમે ચોક્કસ પૂરું કરી શકો છો. વિચાર મહત્વનો છે, સ્થળ કે સંજોગો નહિં.

('ઈન્ટરનેટ પરથી')

Saturday, May 12, 2012

મધર્સ ડે સ્પેશિયલ : એક માની દુઆ

પાકિસ્તાનના એક નાનકડા ગામમાં એક ગરીબ દંપતિ રહેતું હતું.તેમને એક જ દિકરો હતો. તેમણે તેને શ્રેષ્ઠ ભણતર આપ્યું. નજીકના શહેરમાંથી તેમના દિકરાએ એન્જિનિયરીંગની ડીગ્રી મેળવી.


પુત્ર યુવાન થતાં તેમણે તેને એક અમીર ઘરની કન્યા સાથે પરણાવ્યો. શરૂઆતમાં તો પુત્ર નવી વહુ સાથે માતાપિતાના ઘેર જ ગામડે રહ્યો પણ થોડા જ સમયમાં વહુ ગામડાના જીવનથી કંટાળી ગઈ અને તેણે પુત્રને ઘરડા ગરીબ માબાપથી દૂર કરી શહેરમાં ઘર વસાવ્યું.

થોડા દિવસો બાદ પુત્રની નજર અખબારમાં જેદાહ ખાતે એક નોકરીની ખાલી જગા માટેની જાહેરખબર પર પડી. તેણે આ નોકરી માટે અરજી કરી અને તે આ નોકરી મેળવવામાં સફળ રહ્યો. પત્નીને સાથે લઈ તે જેદાહ ઉપડી ગયો અને ત્યાં સ્થાયી થઈ ગયો.વર્ષો વીતી ગયાં.

શરૂઆતમાં તો તે નિયમિત માતાપિતાને રૂપિયા મોકલાવતો.પણ સમય વિતતા તેણે રૂપિયા મોકલવાનું બંધ કરી દીધું. તે જાણે પોતાના માતાપિતાના અસ્તિત્વને જ વિસરી ગયો.

દર વર્ષે તે હજની યાત્રા કરવા જતો અને દરેક હજ પછી તેને એક વિચિત્ર સ્વપ્ન આવતું જેમા તેને કોઈક કહેતું કે તેની હજ સ્વીકારાઈ નથી.તેણે પોતાના આ સ્વપ્ન અનુભવની વાત એક પવિત્ર મૌલવીને કરી જેણે તેને પાકિસ્તાન પોતાના માતાપિતા પાસે પરત ફરવા જણાવ્યું.

તે પાકિસ્તાન પોતાના ગામે આવી પહોંચ્યો પણ વર્ષોના વ્હાણા વાઈ ગયા હોવાથી બધું બદલાઈ ગયું હતું અને તેને પોતાનું જૂનું ઘર ન જડ્યું. તેણે ઘણાં ગ્રામવાસીઓને તેના ઘરડાં માબાપ અંગે પૃચ્છા કરી. એક ઘરડા માણસે તેને એક જીર્ણ ઝૂંપડા તરફ નિર્દેશ કરી કહ્યું : "અહિં આ ઘરમાં એક આંધળી ડોશી રહે છે જેના પતિનું થોડા મહિના અગાઉ મૃત્યુ થયું છે. તેને એકનો એક પુત્ર હતો પણ તે કપૂત ઘણાં વર્ષો પહેલાં સાઉદિ અરબ નાસી ગયો અને ત્યાંથી ક્યારેય પાછો જ ન ફર્યો. કેટલો બડભાગી!"

તે ઘરમાં પ્રવેશ્યો અને તેણે પોતાની માતાને ખાટલા પર સૂતેલી જોઈ. તે દબાતા પગલે ખાટલા તરફ આગળ વધ્યો જેથી તેની ઘરડી મા ઉઠી ન જાય. પણ તેણે નજીક જતા અનુભવ્યું કે તેની મા નિદ્રાવસ્થામાં કંઈક બબડી રહી હતી. તે એના શબ્દો સાંભળવા નીચો નમ્યો અને તેણે માના શબ્દો સાંભળ્યા: "યા અલ્લા, હું હવે સાવ ઘરડી અને આંધળી થઈ ગઈ છું. મારા પતિ પણ જન્નતનશીન થઈ ગયા છે. જ્યારે હું મરી જઈશ ત્યારે મારી લાશ કબરમાં દફનાવનારું મહરમ કોઈ નથી. કૃપા કરી મારા છોકરાને મારી આ અંતિમ ઇચ્છા પૂરી કરવા મોકલી આપજે, જેથી તેના નસીબમાંથી આ પુણ્યનું ફળ છીનવાઈ ન જાય. "

અહિં આ વાર્તાનો અંત આવે છે જેમાં મરનાર માતાની અંતિમ ઇચ્છા પૂરી થાય છે અને તેની દુઆ કબૂલ થાય છે.

માણસનું શરીર માત્ર ૪૫ એકમ વેદના સહન કરી શકે છે જ્યારે સંતાનને જન્મ આપતી વેળાએ એક માતા ૫૭ એકમ વેદના સહન કરે છે, જે ૨૦ હાડકા એક સાથે તૂટે ત્યારે થતી વેદના જેટલી હોય છે.

આ વાર્તા દર્શાવે છે કે તમારી માતા તમને કેટલી હદે પ્રેમ કરે છે.

તમારી માતાને જીવનપર્યંત પ્રેમ આપો. એ સ્ત્રી જેની સાથે તમે લગભગ રોજ ઝઘડો છો, તેણે તમને સુંદર એવું આ જીવન આપવા કેટલા કષ્ટો વેઠ્યા છે તેનો હિસાબ ન માંડી શકાય.

“હે અલ્લા, મારા પાપો બદલ મને માફી આપ અને મને શક્તિ આપ જેથી હું મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી સીરાત-અલ-મુસ્તાકીમ પર રહી શકું.”

('ઈન્ટરનેટ પરથી')

Saturday, May 5, 2012

ઉદાર બનો, દયાળુ બનો.

ઉદાર બનો, દયાળુ બનો. દયા કરવાની તક ઝડપી લેવા તૈયાર રહો.


આજે સવારે મેં ઇશ્વરને દયાળુ બનવાના રસ્તા સુઝાડવા પ્રાર્થના કરી.

મને ઉદાર બનવાની પ્રથમ તક હોટલમાં મળી જ્યાં હું ખાવા ગયો. એક નાનકડી છોકરીના હાથમાંથી પાંચ રૂપિયાનો સિક્કો પડી ગયો. મેં દોડીને તે તેની મમ્મીના હાથમાં આપતા કહ્યું,"આ સિક્કો તમારી દિકરીના હાથમાંથી પડી ગયો." તેમણે સસ્મિત મારો આભાર માન્યો. મને સારું લાગ્યું.

આગળ બહાર રસ્તામાં એક વૃદ્ધ માથે ભારો ઉંચકી રસ્તો ક્રોસ કરવા પ્રયાસ કરી રહ્યો હતો. તેની કમર ભારાનાં વજનથી બેવડ વળી ગઈ હતી. મેં તેને પૂછ્યું શું હું તેની મદદ કરી શકું છું? તેણે આશિર્વાદની ઝડીઓ આંખો દ્વારા વરસાવતાં હા ભણી અને મેં તેને રસ્તો ક્રોસ કરવામાં મદદ કરી. તે ખૂબ ખુશ થઈ ગયો અને તેણે હ્રદયપૂર્વક મારો આભાર માન્યો.

આગળ રસ્તામાં એક બાળક ફૂલોનો ગુચ્છો લઈ મને એ ખરીદવા આજીજી કરવા લાગ્યો. મને વિચાર આવ્યો હું કોને આપીશ એ ફુલોનો ગુચ્છો? પણ એ માસૂમ છોકરાના નિર્દોષ ચહેરા સામે જોતા હું તેને ના ન કહી શક્યો અને મેં એ ખરીદી લીધો. સામે જ એક આઈસ્ક્રીમની દુકાન હતી. કોણ જાણે કેમ પણ મને એ છોકરાને આઈસ્ક્રીમ ખવડાવવાનું મન થયું અને હું તેને સાથે લઈ આઈસ્ક્રીમની દુકાનમાં ગયો. ત્યાં કાઉન્ટર પર એક યુવતિ બેઠી હતી જેનો આખો ચહેરો બળી ગયેલો હતો. છતાં તેની આંખો ખૂબ સુંદર હતી. મેં જતા વેંત ફૂલોનો ગુચ્છો તેને ભેટમાં આપતા કહ્યું,"આ તમારા માટે!" તે ખૂબ નવાઈ પામી પહેલા તો થોડી ગભરાઈ ગઈ પણ થોડી ક્ષણોમાં મારા નિસ્વાર્થ ભાવ કળી જતાં તેના મોઢા પર સ્મિત છવાઈ ગયું અને તેણે એ પુષ્પગુચ્છ મારો આભાર માનતા સહર્ષ સ્વીકારી લીધો. મેં તેની પાસેથી આઈસ્ક્રીમ ખરીદી પેલા ગરીબ છોકરાને ખવડાવ્યો અને તેના નાનકડા ચહેરા પર જે સંતોષ અને ખુશીના ભાવ મેં જોયા એ નિહાળી મને પણ મારો દિવસ સફળ થઈ ગયાની અનુભૂતિ થઈ.


('ઈન્ટરનેટ પરથી')

Sunday, April 29, 2012

ઇન્ટરનેટ કોર્નરની ચોથી સદી વેળાએ...

વ્હાલા વાચકમિત્રો,

ઇન્ટરનેટ કોર્નરનો આજે નોન-સ્ટોપ ૪૦૦મો લેખ રજૂ કરતાં મને ખૂબ આનંદની લાગણી થઈ રહી છે.

આ કટારને આઠ વર્ષ પૂરા થઈ ગયાં છે. હું જન્મભૂમિ પરિવાર અને તમારા સૌ વાચક મિત્રોનો હ્ર્દયપૂર્વક આભાર માનું છું.

તમે આ કટાર અપનાવી લઈ મને સતત ખૂબ પ્રેમ અને પ્રોત્સાહન આપ્યાં છે. સારા વિચારો વ્યક્ત કરવાનો અને તેમને વહેતા કરવાનો મારો આશય કંઈક અંશે સફળ થયો છે એ આ કટાર પર આધારિત પાંચ પુસ્તકો (કથાકોર્નર, મહેક, કરંડિયો, આભૂષણ અને ઝરૂખો) ને મળેલી સફળતાએ સિદ્ધ કર્યું છે. ભગવાનની કૃપા, વડીલોના આશિર્વાદ અને મારા પરિવારજનો તેમજ તમારા વાચકમિત્રોની દુઆઓને પરિણામે આ પુસ્તકોનું તાજેતરમાં ચોથી વાર પુન: મુદ્રણ થયું છે. આ કટાર તેમજ પુસ્તકોની સફળતાનો બધો યશ હું જન્મભૂમિના તંત્રીશ્રી કુન્દનભાઈ વ્યાસ, આ કટાર શરૂ કરાવનાર આશાબેન ગોસ્વામી, ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સમગ્ર જન્મભૂમિ પરિવાર, મારા આ પુસ્તકોના પ્રકાશક ગૂર્જર ગ્રંથરત્ન અને રોહિતભાઈ શાહ તેમજ મારા વાચકમિત્રો તમને આપું છું.

તમને મારા સાદર વંદન અને આવો જ પ્રેમ આપતા રહેવાની અભ્યર્થના.

- વિકાસ ઘનશ્યામ નાયક


વિચારમાળા

સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા


* * * * * * * * * * * * * * * * *
વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે, માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે

* * * * * * * * * * * * * * * * *


માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સત્તાસ્થાને બેસાડો .

* * * * * * * * * * * * * * * * *


જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !

* * * * * * * * * * * * * * * * *
જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે ,

પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધમાં આખી જિંદગી વીતી જાય છે ..

* * * * * * * * * * * * * * * * *
દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ ,

કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે

* * * * * * * * * * * * * * * * *

મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે

અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો .

* * * * * * * * * * * * * * * * *
પુરુષને પરાજિત કરવો હોય તો એના અહમને પંપાળો અને

સ્ત્રીને પરાજિત કરવી હોય તો એની પ્રશંસા કરો !!

* * * * * * * * * * * * * * * * *
તમે યોગી ન થઇ શકો તો નો પ્રોબ્લેમ

પણ બધાને ઉપ - યોગી જરૂર થાજો !!

* * * * * * * * * * * * * * * * *
દીકરો એટલે સુખડનો ટુકડો , દીકરી એટલે કસ્તુરી .

બન્નેને બરાબર સાચવી શકો તો એ

બન્ને જાતે ઘસાઇને સુવાસ ફેલાવે !!

* * * * * * * * * * * * * * * *
પ્રશ્ન :: ડાહ્યા માણસની વ્યાખ્યા શું ?

જેના કાન લાંબા , આંખ મોટી અને જીભ ટૂંકી હોય એ માણસ સૌથી ડાહ્યો

* * * * * * * * * * * * * * * *
પુરુષને મહાત કરી શકે એવી બે વિશેષતા સ્ત્રી ધરાવે છે

એક - એ રડી શકે છે અને

બે- એ ધારે ત્યારે રડી શકે છે !!!!!

* * * * * * * * * * * * * * * *
આખી જીંદગી આંકડા તમે માંડો અને

છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ (બદ્) નસીબ!



('ઈન્ટરનેટ પરથી')

Saturday, April 21, 2012

પારસમણિ

કહેવાય છે કે જ્યારે એલેક્સેન્ડ્રિયાનો ગ્રંથાલય બળીને રાખ થઈ ગયો ત્યારે માત્ર એક પુસ્તક બચી જવા પામ્યું. પણ આ પુસ્તક કોઈ ખ્યાતનામ ગ્રંથ નહોતો અને આથી એક ગરીબ માણસ જે બરાબર વાંચી પણ શકતો નહોતો, તેને સાવ થોડા રૂપિયા આપી ખરીદી ગયો.


આ પુસ્તક કંઈ ખાસ રસ પડે તેવું નહોતું પણ તેના પાનાઓ વચ્ચે જરૂર રસપ્રદ એવી એક વાત છૂપાયેલી હતી.એક જગાએ ઉપસેલા અક્ષરોમાં ખાસ અલગ રંગના અક્ષરોમાં આ પુસ્તકમાં 'પારસમણિ'નું રહસ્ય છપાયેલું હતું.

પારસમણિ એક એવો નાનકડો ગોળ કાંકરો હતો જેના સ્પર્શ માત્રથી ગમે તે ધાતુનું સોનામાં પરિવર્તન થઈ જાય.પુસ્તકના લખાણમાં એવી માહિતી હતી કે આ પારસમણિ તેના જેવા જ દેખાતા અન્ય હજારો-લાખો કાંકરા વચ્ચે એક ખાસ દરિયા કાંઠે પડેલો હતો. પણ રહસ્ય એ હતું કે બીજા બધાં કાંકરાઓ કરતાં પારસમણિ અડીએ તો સહેજ વધુ ગરમ લાગે, અન્ય કોઈ પણ કાંકરો સ્પર્શે સાવ ઠંડો લાગે.

માણસ તો આ વાંચી પોતાનું જે કંઈ થોડુંઘણું રાચરચીલું હતું તે વેચી દઈ, પોતાની સાથે સાવ ઓછો જરૂરિયાત જેટલો જ સામાન લઈ નિકળી પડ્યો પુસ્તકમાં લખેલી જગાએ - દરિયા કિનારે, પારસમણિની શોધમાં. તેણે તો દરિયાકિનારે જ તંબુ બાંધ્યો અને તે આસપાસ પડેલા કાંકરા તપાસવા માંડ્યો.

તેને લાગ્યું કે જો તે સામાન્ય કાંકરો ઉપાડી તે ઠંડો જણાય તો તેને નીચે નાંખી દેતા ફરી તે બીજા હજારો કાંકરામાં ભળી જશે અને તે લાખો પ્રયત્ન છતાં સાચા પારસમણિને શોધી શકશે નહિં.આથી તે જે જે કાંકરો હાથમાં લઈ સ્પર્શે ઠંડો જણાય તેને દરિયામાં નાંખી દેવા લાગ્યો. આખો એક દિવસ આમ કાંકરા ચકાસવામાં નિકળી ગયો અને તેણે હજારો સામાન્ય કાંકરા દરિયામાં પધરાવી દીધા પણ પારસમણિ તેના હાથે લાગ્યો નહિં.પણ તે નિરાશ થયો નહિં.તેણે થાક્યા વગર 'કાંકરો ઉપાડવો - તે ઠંડો છે એમ જાણવું - તેને દરિયામાં નાખી દેવો - ફરી નવો કાંકરો ઉપાડી ચકાસવો' આ પુનરાવર્તી પ્રક્રિયા ચાલુ રાખી.

આજ રીતે દિવસોના દિવસો, સપ્તાહોના સપ્તાહો અને મહિનાઓના મહિનાઓ વિતી ગયાં.આખરે એક દિવસ બપોરે તે માણસના હાથમાં એક કાંકરો આવ્યો જે સ્પર્શે બીજા બધાં કાંકરાઓ કરતાં ગરમ હતો.પણ હજી એ અનુભવે કે તે શું કરવા જઈ રહ્યો છે કે તેણે શું કરવું જોઇએ, તેણે આ કાંકરાનો પણ સીધો દરિયામાં ઘા કરી દીધો.

મહિનાઓ સુધી એકની એક પ્રક્રિયા કરી તેને એટલી હદે કાંકરા દરિયામાં ફેંકવાની આદત પડી ગઈ હતી કે તેણે જ્યારે, જેની શોધમાં તે આટલી આકરી મહેનત કરી રહ્યો હતો તે પારસમણિ હાથમાં આવ્યો ત્યારે તેને પણ સામાન્ય કાંકરો સમજી દરિયામાં ફેંકી દીધો.

આવું જ આપણાં જીવનમાં આવતી તકોનું હોય છે.જો આપણે સતત જાગૃત ન હોઇએ તો કઈ ઘડીએ આવેલી ક્ષણ હાથમાંથી છટકી જાય એ કોઈ જાણી શકતું નથી.આપણે પોતે જ જાણ્યે-અજાણ્યે તેને જતી કરી દેતાં હોઇએ છીએ.


('ઈન્ટરનેટ પરથી')

Saturday, April 14, 2012

ડોન્ટ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ...

[આજકાલ દારૂ પીને ગાડી ચલાવી બીજા નિર્દોષ લોકોની હત્યા કરવાના કિસ્સા વારંવાર બની રહ્યા છે ત્યારે આજે ઇન્ટરનેટ કોર્નરની આ કવિતા દ્વારા આમ કરનાર લોકોની આંખ ઉઘાડવાનો પ્રયત્ન કર્યો છે.વાંચીને તે તમારા પરિવારના અન્ય સભ્યોને,મિત્રોને અને સ્નેહીજનોને વંચાવજો...રખે ને કોઈની જાન બચાવવામાં આપણે સહભાગી બનીશું..]


હું પાર્ટીમાં ગયેલો, મોમ

મને યાદ છે તે શું કહેલું,

તે મને દારૂથી દૂર રહેવા કહેલું મોમ,

અને એટલે મેં ફક્ત સોડા પીધી...



મને અંદરથી ગર્વનો અનુભવ થતો હતો, મોમ

તે કહેલું ને હું અનુભવીશ, એમ જ!

મેં દારૂ નહિં પીને જ ડ્રાઈવ કર્યું, મોમ

મારા મિત્રોએ મને ખૂબ આગ્રહ કર્યો તેમ છતાં...



હું જાણું છું કે મેં (આમ કરીને) યોગ્ય જ કર્યું, મોમ

હું જાણું છું કે તુ સદાય મને સાચી અને સારી જ સલાહ આપતી હોય છે.

હવે પાર્ટી પૂરી થઈ ગઈ, મોમ

ને બધા પોતપોતાની ગાડી ડ્રાઈવ કરી ઘેર જવા માંડ્યા.



હું પણ આપણી ગાડીમાં બેઠો, મોમ

એમ ધારીને કે હું સહી સલામત પાછો ઘેર પહોંચી જઈશ

કારણ તે જે રીતે મને ઉછેરી મોટો કર્યો છે, મોમ

એક મીઠડો પણ જવાબદાર યુવાન...



મેં હળવેથી ડ્રાઈવ કરવું શરૂ કર્યું, મોમ

પણ થોડી જ ક્ષણો બાદ હું જ્યારે હાઈવે પર આવ્યો,

બીજી એક ગાડીએ મને કે મારી ગાડીને ન જોયાં, મોમ

અને હું કોઈ નિર્જીવ પત્થર હોઉં એમ તેણે મને કચડી નાંખ્યો…



હું જ્યારે ફંગોળાઈને રસ્તાની એક બાજુએ જઈ પડ્યો મોમ

ત્યારે મેં પોલિસને એમ કહેતા સાંભળ્યો કે

એ બીજી ગાડી વાળો પીધેલો હતો, મોમ

અને એની સજા ભોગવી રહ્યો હતો હું...



હવે થોડી જ ક્ષણોમાં હું પરમધામે પહોંચી જઈશ, મોમ

હું હ્રદયના ઉંડાણથી ઇચ્છું છું કે એ પહેલા એક વાર તું આહિં આવી પહોંચે,

મારી સાથે આવું શી રીતે બન્યું મોમ?

મારું જીવન એક ફુગ્ગાની જેમ ફૂટી ગયુ...



મારી આજુબાજુ લોહી જ લોહી છે,મોમ

અને એ મારું પોતાનું જ લોહી છે

મેં ડોક્ટરને કહેતાં સાંભળ્યા,મોમ

કે થોડી જ વારમાં હું મરી જઈશ...



મારે તને માત્ર એટલું જ જણાવવું છે, મોમ

કે મેં દારૂનું સેવન કર્યું નથી

એ બીજાઓ હતાં જેમણે એમ કર્યું હતું મોમ...

જેમણે વિવેકબુદ્ધિ ગુમાવી બીજાઓનો વિચાર પણ કર્યો નહિં...



જેની ગાડીએ મને કચડી નાંખ્યો

એ યુવાન પણ મારી સાથે જ પાર્ટીમાં હતો

પણ ફરક માત્ર એટલો જ હતો કે

તેણે દારૂ પીધો અને મરી જઈશ હું..



લોકો શા માટે પીતા હશે મોમ?

દારૂનું સેવન તમારા આખા જીવનને બરબાદ કરી નાંખે છે

હવે મને ખૂબ પીડા થઈ રહી છે, મોમ

જાણે મારા શરીર પર કોઈ ચાકુના ઘા કરી રહ્યું હોય...



એ યુવાન જેણે મને કચડી નાંખ્યો એ ચાલી રહ્યો છે, મોમ

અને હું નથી માનતો કે આ બરાબર છે

હું અહિં મરી રહ્યો છું અને કંઈ કરી શકું છું

તો એટલું જ કે માત્ર તેને તાકી રહેવું…



ભાઈને કહેજે કે એ બહુ રડે નહિં મોમ

અને પપ્પાને કહેજે કે તે હિંમત રાખે...

અને હું જ્યારે સ્વર્ગે સિધાવું ત્યારબાદ

મારી કબર પર લખાવજે 'ગુડ બોય'



કોઈકે પેલા યુવાનને પણ કહેવું જોઈતું હતું કે

તે દારૂ પીને ગાડી ન ચલાવે

જો કોઈકે તેમ કર્યું હોત તો

આજે હું મૃત્યુને બિછાને ન પડ્યો હોત...



હવે મારા શ્વાસ રૂંધાય છે મોમ

મને ડર લાગી રહ્યો છે…

મહેરબાની કરીને તું રડતી નહિં મોમ

જ્યારે જ્યારે મને તારી જરૂર હતી એ દરેક ઘડીએ તું મારી પડખે હતી…



મારે એક અંતિમ પ્રશ્ન પૂછવો છે, મોમ

હું અલવિદા કહી દઉં આ ફાની દુનિયાને એ પહેલાં...

મેં તો દારૂ પીને ગાડી હંકારી નહોતી

તો પછી મારું મૃત્યુ શા માટે મોમ?



કોઈકે આ કવિતા લખવાની જહેમત ઉઠાવી છે લોકોને માત્ર એટલું જ સમજાવવા કે દારૂ પીને ડ્રાઈવ કરશો નહિં. મહેરબાની કરી ડ્રિંકિંગ અને ડ્રાઈવિંગની ભેળસેળ કરશો નહિં...

('ઈન્ટરનેટ પરથી')

Sunday, April 8, 2012

સચિન તેંડુલકર તેની ૧૦૦મી સદી પર શાનદાર કમેન્ટ્સ

તાજેતરમાં જ સચિન તેંડુલકર તેની ૧૦૦મી સદી ફટકારી અખબારોમાં છવાઈ ગયો. તેના આ વિરલ રેકોર્ડ બદલ આપણાં કેટલાંક મહાન નેતાઓએ ,અન્ય કેટલીક મોટી વ્યક્તિઓએ અને સચિને પોતે કરેલી (કાલ્પનિક રમૂજી) કમેન્ટ્સ ઇન્ટરનેટ પર વાંચવામાં આવી તે આજે ઇન્ટરનેટ કોર્નરમાં માણીએ.


દિગ્વિજય સિંહ - સચિન એક આર.એસ.એસ.એજન્ટ છે.આટલાં બધાં દિવસ સુધી એ રાહ જ જોઈ રહ્યો હતો કે ક્યારે એક મુસ્લિમ દેશ સામે ભારત રમે અને તેમાં એ સદી ફટકારી શકે.

મનમોહન સિંહ - હું સચિનને અભિનંદન આપું છું અને સાથે સાથે શ્રીમતી સોનિયા ગાંધીના નેતૃત્વની પણ પ્રશંસા કરું છું.

રાહુલ ગાંધી - બાંગ્લાદેશનું નિર્માણ મારા દાદીમાએ કર્યું હતું આથી આ સદીનો બધો યશ તેમને ફાળે જવો જોઇએ.

રાજ ઠાકરે - સચીને આ સદી ફટકારી પોતાની જાતને એક સાચા મરાઠી માણૂસ તરીકે સાબિત કર્યો છે.ભારત હારી ગયું તેથી શું થઈ ગયું? મહારાષ્ટ્રીયનોએ કંઈ આખા ભારતની જવાબદારી લેવાનો ઠેકો થોડી લઈ રાખ્યો છે?

મુલાયમસિંહ યાદવ - જો સચિન યુ.પી. નો હોત તો મેં બધી જ ક્રિકેટ મેચોની ટિકિટો ટેક્સ ફ્રી કરી નાંખી હોત.

અણ્ણા હજારે - સચિનને દેશનો આગામી લોકપાલ બનાવવો જોઇએ.

બાબા રામદેવ - જો તમે સચિને આજ સુધી કરેલા કુલ રનને એક અબજ સાથે ગુણો તો જે જવાબ આવે એટલી રકમનું ભારતીયોનું કાળું નાણું વિદેશી બેન્કોમાં જમા છે.

કપિલ સિબ્બલ - સોશિયલ મિડીયાએ સચિનની સદી પર કરાતી કમેન્ટ્સ પર નજર અને કાબુ રાખવા જોઇએ.એનાથી ભારતની બિનસાંપ્રદાયિકતા પર અસર પહોંચી શકે એમ છે.

સ્વામી અગ્નિવેશ - બાંગ્લાદેશે સચિનને તેની ૧૦૦મી સદી પૂર્ણ કરવા દઈ તે ભારતનું સાચું મિત્ર હોવાનું પુરવાર કર્યું છે.ત્યાંના નાગરિકોને હવે ભારતમાં ગમે ત્યાં અને ગમે ત્યારે આવવાની,વસવાની છૂટ મળવી જોઇએ.તેમને વોટર આઈડી કાર્ડ્સ અપાવા જોઇએ.

ક્રિસ શ્રીકાન્ત - અમે સિલેક્ટર્સ એવી આશા રાખીએ છીએ કે વર્ષ ૨૦૫૦ સુધીમાં સચિન તેની દોઢસોમી સદી પૂર્ણ કરે.

અર્જુન તેન્ડુલકર - ૨૦૨૦ના વર્લ્ડ કપમાં હું મારા પિતા સાથે રમવા ઇચ્છું છું.

સચિન તેન્ડુલકર પોતે - આઈલા....હવે હું રીટાયર્ડ ન થવા કયું બહાનુ કાઢીશ?!

સોનિયા ગાંધી - (તેઓ કોઈ અજ્ઞાત બિમારીની સારવાર વિદેશની કોઈ હોસ્પિટલમાં લઈ રહ્યા હોઈ તેમની કમેન્ટ મળી શકી નથી)(!)

કરુણાનિધિ - સચિન તેન્ડુલકર કોણ છે?

જયલલિતા - ક્યારેક શશિકલા સાચું કહેતી હોય છે.તેણે આ છોકરા વિષે કહ્યું હતું.મને લાગેલું કે એ કોઈ બોલિવૂડ સ્ટાર હશે એટલે મેં એ ગણકાર્યું નહોતું.જોકે ડો.એમ.જી.આર. ની તોલે તો કોઈ પ્લેયર ન આવી શકે.

છેલ્લે શ્રેષ્ઠ કમેન્ટ મમતા (બેનર્જી) દીદીએ કોઈ બંગાળી અખબારમાં છપાવી. તેમણે કહ્યું: આટલા મોટા રનના સ્કોરનો ખડકલો કરતા પહેલા તેમની સલાહ લેવામાં આવી નહોતી.આથી સદીના સ્કોરને નેવુ રનનો સ્કોર ગણવામાં આવે.અને જો સપ્તાહના અંત સુધીમાં એમ કરવામાં ન આવે તો તેઓ ભારતીય ક્રિકેટ ટીમમાં સચિનને બદલે મદન મુલો રોયને ગોઠવી દેશે.


('ઈન્ટરનેટ પરથી')