Saturday, April 23, 2011

ઝાકળનું ટીપું...

સૂરજ ઉગ્યો કે ઝાકળનાં એક ટીપાને પોતાની આસપાસના પરિસરનું ભાન થયું.તે અહિં એક લીલુડાં છોડનાં સુંદર પાન પર બેઠું હતું, સૂરજના કિરણોને ઝીલતાં અને તેમને પાછાં ફેંકતા.પોતાના સાદગીભર્યા સૌંદર્ય પર તેને ગર્વ હતો અને તે અતિ સંતુષ્ટ હતું. તેની આસપાસ બીજાં પણ ઘણાં ઝાકળનાં ટીપાં હતાં, કેટલાંક તે જે પાન પર હતું તેના પર જ તો બીજા કેટલાંક તેની આસપાસના બીજાં પર્ણો પર. છતાં આ ઝાકળના ટીપાને લાગતું હતું કે તે જ બધાં ટીપામાં સૌથી જુદું, સૌથી શ્રેષ્ઠ છે.


તેને લાગણી થઈ રહી હતી : અહા, ઝાકળના ટીપા બનવામાં કેટલી મજા છે!

અચાનક જોરથી પવન ફૂંકાયો અને છોડ ધ્રૂજવા લાગ્યો.પર્ણ જેના પર ઝાકળનું ટીપું બેઠું હતું તે પણ જોરથી હલી ગયું જેના કારણે ઝાકળનું ટીપું ગબડીને પર્ણની ધાર પર આવી ગયું.ગુરુત્વાકર્ષણનાં બળ દ્વારા અજાણી દિશામાં ફેંકાઈ જવાને કારણે પર્ણની ધાર પર આવી સાવ કિનારી પાસે અટકી જતાં ઝાકળનું ટીપું ખૂબ ગભરાઈ ગયું.

શા માટે આમ થયું?પહેલાં તો કેટલી શાંતિ હતી? સંતોષ હતો.સુરક્ષિતતા હતી. તો પછી અચાનક આ ઝંઝાવાત શા માટે?

નીચે દ્રષ્ટી પડતાં ઝાકળનાં ટીપાના ભયની કોઈ સીમા ન રહી.તેને લાગ્યું બીજી જ ક્ષણે તે હજારો નાના નાના કણોમાં વિખરાઈ જશે.તેને લાગ્યું હવે અંત નિશ્ચિત જ છે.હજી તો હમણાં જ દિવસ ઉગ્યો અને આટલો જલ્દી તેનો અંત પણ આવી જશે?આતો કેટલું અયોગ્ય કહેવાય?કેટલું વ્યર્થ?તેણે પર્ણને વળગી રહેવાના મરણિયા પ્રયાસો કર્યાં.પણ વ્યર્થ!

અંતે તેણે મહેનત છોડી દીધી અને ગુરુત્વાકર્ષણ બળ જીતી ગયું!તે પડવા લાગ્યું નીચે... નીચે... તળિયે તેને એક આરસી જેવું કંઈક જણાયું.તેની નજર નીચે તરફ જ હતી.તેને પ્રતિબિંબમાં પોતાના જેવું જ ઝાકળનું ટીપું ઉપર તરફ વેગથી આવતું જણાયું.તેઓ એકબીજા તરફ પૂરપાટથી ધસી રહ્યાં હતાં અને અંતે...

અને ક્ષણમાં તો તેનું દુ:ખ અપાર ખુશીમાં ફેરવાઈ ગયું.ઝાકળનું એક ટીપું મોટાં તળાવની અગાધ જળરાશિમાં સમાઈ ગયું,એકરૂપ થઈ ગયું.હવે ઝાકળના ટીપાનું સ્વતંત્ર અસ્તિત્વ મટી ગયું હતું,પણ તેનો વિનાશ પણ નહોતો થયો...

- પીટર હ્યુજીસ

('ઈન્ટરનેટ પરથી')

Sunday, April 17, 2011

કોનો પૈસો ક્યાં વપરાય?

અનેક વાતો ઇતિહાસ બની ગઇ છે. આથી બંધબેસતી પાઘડી કોઇએ પહેરી લેવી નહીં. જોકે આજે પાઘડી પણ ઇતિહાસ જ બની છે!


જૂના જમાનામાં ભારત માત્ર ગામડાંમાં વસતું હતું અને ખેતી તથા ગ્રામ કારીગરી આધારિત વ્યવસાયોથી લોકો જીવનનિર્વાહ કરતા હતા ત્યારે પૈસો ગાડાનાં પૈડા જેવડો મોટો હતો. પૈસો કમાવાનું કામ અઘરું હતું. જ્ઞાતિ આધારિત વ્યવસાયો હતા. પૈસો વાપરવાના માર્ગ પણ મર્યાદિત હતા ત્યારે કોનો પૈસો ક્યાં વપરાય તેની સ્પષ્ટ સમજણ હતી.

અલબત્ત, આજે આવા જ્ઞાતિગત વ્યવસાયો કે પૈસા વાપરવાની જ્ઞાતિગત રીતો નથી. અહીં જે વાત છે તે ઇતિહાસ બની ગઇ છે. આથી બંધબેસતી પાઘડી કોઇએ પહેરી લેવી નહીં. જોકે આજે કોઇ પાઘડી પણ પહેરતું નથી, ત્યાં બંધબેસતી પાઘડી પહેરવાનો સવાલ ઉપસ્થિત થતો નથી.

એ જમાનામાં લોકકથાકારો ગામને ચોરે વાર્તા માંડતા. આ બધી ગીતકથાઓ હતી. ગીત-દુહા-છંદ ગાતા જાય ને તેની સમજૂતી આપતા જાય. એમાં કોનો પૈસો ક્યાં વપરાયના જવાબ રૂપે નીચેનો છંદ કહેવાતો :

બામણનો ભાણામાં ને વાણિયાનો પાણામાં,
રજપૂતનો થાણામાં ને કણબીનો આણામાં,
કોળીનો ગાણામાં ને ઘાંચીનો ઘાણામાં,

બાવાનો જાણામાં ને ભીલનો દાણામાં.

તે જમાનામાં નાગર બ્રાહ્મણો અને અનાવિલ બ્રાહ્મણોને બાદ કરતાં અન્ય બ્રાહ્મણો ગોરપદું કરતા અને ‘દયા પરભુની ધરમની જે’ કરી અગિયાર ગામોના યજમાનોને ત્યાં માગવા નીકળતા. મરણ-પરણના પ્રસંગે યજમાન જે કાંઇ રોકડ આપે તે ઘરે આવીને ગોરાણીને આપી દે ને પછી હુકમ કરે. ‘આજે તો લાડુ, દાળ, ભાત, શાક ને વાલ બનાવો. જોડે ભજિયાં પણ તળજો.’ આ મિજબાની જમવામાં બધા પૈસા વપરાઇ જાય.

લાડુ જમવાના શોખીન બ્રાહ્મણો ગાતા, ‘લચપચતા નવ લાડુ, જમવાની ટેવ પડી છે.’ લાડુ પર ખસખસ છાંટી હોય તેથી તેનું ઘેન ચડે એટલે ભારે જમણ પછી નિરાંતે ઊંઘી જાય. હળવદના બ્રાહ્મણો લાડુ ઝાપટવા માટે વિશ્વભરમાં પ્રખ્યાત.

ગામમાં ૧૮-૨૦ લાડુ ઝાપટી જનારા હળવદિયા જરૂર મળી આવે. તળાજાના પલેવાળ (પાલીવાલ) બ્રાહ્મણો બોઘરણું ભરીને ઘી પી જતા. બ્રાહ્મણોની તમામ શૂરાતન કથાઓ ભાણામાં સમાઇ જતી. આજે પણ રાજકોટમાં દર વર્ષે બ્રાહ્મણોની લાડુભોજન હરીફાઇ થાય છે. લાડુ અંગે બ્રાહ્મણોએ-પોતાને માટે કાવ્ય રચ્યું છે :

‘પહેલા આવ્યા પંડ્યા, લાડુ કરવા મંડ્યા,
પછી આવ્યા જોશી, લાડુમાં આંગળી ખોશી,
બાદમાં આવ્યા ભટ્ટ, લાડુ કરી ગ્યા ચટ,
છેલ્લે આવ્યા દવે, બેઠા બેઠા લવે.’

વાણિયા અને જૈનનો પૈસો પાણામાં એટલે કે પાકાં મકાનો અને મંદિરો બંધાવામાં વપરાય. (ગુજરાતમાં જૈનોને પણ વાણિયા જ ગણવામાં આવે છે) જો તમે સહેજ ઘ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે શંકરનાં મંદિરો રજપૂત રાજાઓએ બંધાવ્યાં છે. આ મંદિરો સાદાં અને દ્રવ્ય-દાગીનાવિહીન હોય. તેની સામે વૈષ્ણવ હવેલીઓ વાણિયાઓ બંધાવતા અને જૈનો દેરાસરો તથા અપાસરાઓ (ઉપાશ્રય) બંધાવતા.

પરંપરાગત હિંદુ સંસ્કારોમાં દાન કરવાથી પુણ્ય કમાવાય અને પુણ્ય કરવાથી મોક્ષ મળે તેવો ખ્યાલ હોવાથી વ્યાપારમાં કમાણી કરતા વાણિયાઓ દાન-ધર્માદો કરતા. એ જમાનામાં દાન-ધર્માદો કરવો એટલે મંદિરો બાંધવાં, ઢોરવાડા બાંધવા, દવાખાનાં બાંધવાં, નિશાળો બાંધવી, ધરમશાળા બાંધવી તથા પોતાના માટે પાકી હવેલીઓ બાંધવામાં- એટલે કે પાણામાં તેમનો પૈસો વપરાતો.

જો ગામમાં તમે જૂની ધરમશાળા કે જૂની નિશાળ જોશો તો જે તે શેઠના નામે હશે. છેલ્લાં ત્રીસેક વર્ષોથી વાણિયા અને જૈનોનો હવેલી તથા દેરાસરો સિવાયનાં મકાનો માટે દાનનો પ્રવાહ સુકાઇ ગયો છે તે મોટી ચિંતાનો વિષય છે.

રજપૂતનો પૈસો થાણામાં વપરાય. આ લડાયક કોમમાં સંઘર્ષનું મૂલ્ય ઘર કરી ગયું હતું અને ભાટ-ચારણો તેમના યુદ્ધકૌશલ્યનાં કવિત કરીને શૂરાતન ચડાવતા એટલે રજપૂતો નાની-મોટી લડાઇઓમાં રમમાણ રહેતા. આમ હોવાથી પોલીસથાણા સાથેનો તેમનો વ્યવહાર વધી જતો અને લડાઇ-ઝઘડા પછીની પરિસ્થિતિ નિપટાવવામાં પૈસા ખર્ચાતા.

કણબીનો પૈસો આણામાં વપરાય. પચાસેક વરસ પહેલાં સ્થિતિ એવી હતી કે દીકરીનાં લગ્ન કરી નાખે, પણ કરિયાવરના પૈસા ન હોય એટલે સારું વરસ આવે ત્યારે દીકરીનું આણું વાળે, એટલે કે કરિયાવર આપી સાસરે મોકલે. આપણા લોકપ્રિય કવિ માધવ રામાનુજે આ વાત બરાબર કહી છે :

‘ડુંડે બેઠા છે રૂડા દાણા પટલાણી
ઓણ દીકરીના કરી દઇએ આણાં.’

હવે તો મોટા ભાગના કણબી પાટીદારો ખેતીની બહાર નીકળી ગયા છે અને તેમનો પૈસો પણ હવે વાણિયાઓની જેમ પાણામાં વપરવા લાગ્યો છે. તેમ છતાં આણામાં વસ્તુઓ-ઘરેણાં આપવાનો ચાલ હજી છે. કોળીનો પૈસો ગાણામાં એટલે કે નાચ-ગાન અને ભજનમાં વપરાય.

કોઇ પણ પ્રસંગ આવે એટલે કોળીને ત્યાં રાતે ભજન બેસે તે વહેલી સવાર સુધી ચાલે. કોળીઓમાં (અને દલિતોમાં પણ) ભજનિકોનું પ્રમાણ વધારે છે. જેણે ભજન બેસાડ્યાં હોય તે ભજનિકને તો પૈસા આપે જ, પણ ભજન સાંભળવા આવનારનેય ઠુંગોપાણી કરાવે. આમાંનાં ઘણાં ભજનો આપણા લલિત અને લેખિત સાહિત્યથી પર એવી શ્રુતિ પરંપરામાં ચાલે છે.

ઘાંચીનો પૈસો ઘાણામાં-તેલઘાણીની સજાવટ અને રખરખાવમાં વપરાય. તેલના વ્યવસાયમાં ઘાંચીઓ કમાયા અને આજે વેપારમાં આવી ગયા. ઘાંચી એટલે કરિયાણાવાળા મોદી, પરંતુ જૂના જમાનામાં બળદ અને ઘાણીની માવજતમાં તેના પૈસા વપરાતા.

એક ઘાંચી તેની ઘાણી ચાલતી ત્યારે ઊંઘતો. એક વકીલે કહ્યું, ‘તું સૂઇ જાય છે તો આ બળદ ફરતો અટકી જાય તો?’ ‘વકીલ સાહેબ, તેને ગળે બાંધેલી ઘંટડી અટકી જાય એટલે હું જાગી જાઉ.’ ‘પણ ધારો કે બળદ ઊભો રહીને ડોકી હલાવીને ઘંટડી વગાડ્યા કરે તો તને કેમ ખબર પડે?’ ‘સાહેબ, મારો બળદ વકીલ નથી.’

સાધુ-બાવા તો ચલતા ભલા. તેઓ એક જગ્યાએ થોડા દિવસો રહી બીજે જાય. આ પ્રકારની યાયાવરી (જાણા)માં નવી જગ્યાએ પડાવ નાખવાનો ખર્ચ થાય તેમાં જૂની જગ્યાએ મળેલા પૈસા વપરાઇ જાય. બાવાના પૈસા જાણા જેમ ધુણામાં પણ વપરાય. બાવો પડાવ નાખે ત્યાં ધુણો અને અમલની ચલમ ચાલુ જ હોય. બાવાને ખાવાનું મફત મળી રહે, પરંતુ ભાંગ, ગાંજો અને ચલમમાં તેની તમામ કમાણી વપરાઇ જાય.

છેલ્લે, ભીલ (આદિવાસી)ના પૈસા દાણા જોવડાવવામાં જાય. સાજે-માંદે કે શુકન-અપશુકન માટે તેમનો ભૂવો દાણા જોઇ નિદાન કરે. પછી ભૂવો કહે તેવો ભોગ ધરાવવાથી શંકાનું નિવારણ થાય. ભીલો પાસે તે જમાનામાં રોકડા પૈસા તો નહોતા. તેથી વેપારીને ત્યાં બકરી કે ચાંદીની જણસ વેચીને દાણા જોવડાવવા પડે.

આ તો બધી ગયા જમાનાની વગદાળી (વગદાં એટલે કાલાં કાઢવાં) એટલે કે કાલીધેલી છતાં સાંભળવી ગમે તેવી આપણી લોકસંસ્કૃતિની વિરાસત સમી વાતો છે. ગુજરાતનો સામાજિક-સાંસ્કૃતિક ઇતિહાસ લખાય તો ખપમાં લાગે.

('ઈન્ટરનેટ પરથી')

Sunday, April 10, 2011

જાપાનીઓ પાસેથી શીખવા લાયક ગુણો

થોડા વખત પહેલાં ઇન્ટરનેટ કોર્નરમાં જાપાનીઝ પ્રોફેશનાલિઝમ વિશે સુબ્રોતો બાગ્ચીના પુસ્તક 'ધ પ્રોફેશનલ' માં રજૂ થયેલા કેટલાંક અંશ રજૂ કર્યા હતાં.


એ જ જાપાનમાં તાજેતરમાં ભૂકંપ અને સુનામી જેવી કુદરતી હોનારતોએ મોટી તારાજી સર્જી દીધી છતાં સમગ્ર જગતને વિશ્વાસ છે કે જાપાન ફરી બેઠું થઈ જશે.આ વિશ્વાસ નું કારણ જાપાનીઝ પ્રજાએ આ વિકટ પરિસ્થિતી દરમ્યાન અને હંમેશા દર્શાવેલા કેટલાક શીખવા લાયક ગુણો છે.આપણે ભારતીયોએ આ ગુણોમાંથી નીચે જણાવેલી બાબતો શીખવી જોઇએ:

૧ શાંતતા
આટલા મોટા સંકટ છતાં હૈયાફાટ રૂદન કે છાતી કૂટવી એવા નાટકીય શોક દર્શાવતું એક પણ દ્રષ્ય ક્યાંય જોવા ન મળ્યું.દુ:ખની ગરિમા તેમણે જાળવી બતાવી.

૨ સ્વમાન , સ્વાભિમાન
પાણી અને અન્ન માટે શિસ્તબદ્ધ કતારો. એક પણ ખરાબ શબ્દ કે બિભત્સ ચેનચાળો નહિં.

૩ સમર્થતા
દાખલા તરીકે અદભૂત બાંધકામ.ઘણી ઇમારતો હલી ગઈ પણ તૂટી પડી નહિં.

૪ ગૌરવ
લોકોએ તેમને તત્પૂરતી જરૂરિયાત હોય એટલી જ વસ્તુઓ ખરીદી જેથી બધાને કંઈક મળી રહે.

૫ વ્યવસ્થિતતા
દુકાનો લૂંટાઈ નહિં.રસ્તાઓ પર મોટા મોટા હોર્નના અવાજો નહિં અને ન કોઈ કોઈને ઓવરટેક કરતું જોવા મળ્યું.ઉંડી સમજણ.

૬ ત્યાગ
પચાસ કામગારો સ્વેચ્છાએ ન્યુક્લિયર રિએક્ટરમાં દરિયાનું પાણી ઠાલવવા હાજર રહ્યાં,જાનના જોખમે.એ જાણતા હોવા છતાં કે આ ફરજપરસ્તી બદલ કોઈ બદલો મળશે તો પણ તે લેવા તેઓ જીવતા નહિં હોય.

૭ વિનમ્રતા અને સજ્જનતા
હોટલોએ ભાવ ઘટાડી નાંખ્યા. ગાર્ડ હાજર નહોતો એવું એક ATM સુરક્ષિત રહ્યું, કોઈએ તે લૂંટવાની કોશિશ ન કરી. સશક્તો,સબળાઓએ ગરીબ અને નબળાઓનું ધ્યાન રાખી તેમને રક્ષણ પૂરું પાડ્યું.

૮ પ્રશિક્ષણ
આબાલવ્રુદ્ધ, દરેક જાણતા હતા કે તેમણે શું કરવું જોઈએ. અને તે દરેકે એમ જ કર્યું.

૯ પ્રસાર માધ્યમો
તેમણે વિનાશની તસવીરો અને સમાચાર છાપવા,દર્શાવવામાં ગજબનો સંયમ દાખવ્યો. છીછરા કે મૂર્ખતા ભર્યા એક પણ અહેવાલ જોવા કે સાંભળવા ન મળ્યા. શાંતિપૂર્ણ અને યથાયોગ્ય અહેવાલ અને ખબરો જ છપાયાં.

૧૦ વિવેક્બુદ્ધિ
જ્યારે એક મોટી દુકાનમાં વિજળી જતી રહી ત્યારે ત્યાં હાજર ગ્રાહકો હાથમાં રહેલી વસ્તુઓ તેમના સ્થાને યથાવત મૂકી દઈ શાંતિથી દુકાન બહાર નિકળી ગયાં.
 
('ઈન્ટરનેટ પરથી')

Saturday, April 2, 2011

હું સચિન તેંડુલકર બનવા નથી ઇચ્છતો…

[ આજનો આ લેખ હર્ષા ભોગલે એ સચિન તેંડુલકર માટે લખ્યો હતો હાલમાં ચાલી રહેલી વિશ્વકપ વર્લ્ડકપ ૨૦૧૧ ની ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ૧૨મી માર્ચ ૨૦૧૧ના દિવસે રમાયેલી મેચ બાદ, જેમાં સચિને સદી ફટકારી હોવા છતાં ભારત હારી ગયું હતું. મૂળ અંગ્રેજીમાં લખાયેલા આ રસપ્રદ લેખનું ગુજરાતી ભાષાંતર, આશા છે તમને ગમશે. ]

તમે ક્યારેક કોઈ પરીક્ષામાં નાપાસ થયા હોવ એ યાદ આવે છે?તમારાં શાળા-કોલેજના મિત્રો,સગાસંબંધીઓ વગેરેમાંના કેટલાને તે યાદ છે?તમે કદાચ IIT કે IIMમાં પ્રવેશ મેળવવામાં નિષ્ફળ રહ્યાં હતાં.એ કેટલાને આજે યાદ છે?તમે કેટલી વાર તમારા વર્ગના કે શાળાના કે કોલેજના કે યુનિવર્સીટીના શ્રેશ્ઠ વિદ્યાર્થી હોવાની લાગણી અનુભવી હતી?...અને તમારા વિઝા પાસ ન થયા હોય કે ગયા વર્ષે તમારું પ્રમોશન તમે ચૂકી ગયા હોવ કે પછી તમારા પિતાએ તમને જે તમારી વીસ-એકવીસની ઉંમરમાં કહેલું કે તમે સાવ નક્કામા છો અને અત્યારે તમારા બોસ પણ એ જ વાતનો પુનરોચ્ચાર કરે છે ત્યારે એ સાંભળી તમને કેવી લાગણી અનુભવાય છે?


તમારા જીવનમાં જેનું ખરું જોતા કોઈ જ મહત્વ ન હોય એવી વ્યક્તિઓ જ્યારે તમારી ટીકા કરે કે તમારી પીઠ પાછળ તમારું ઘસાતું બોલે કે તમારી મજાક ઉડાવે ત્યારે તમે સ્વપરીક્ષણની ગર્તામાં કે એકલતા અને નિરાશાના કોચલામાં સરી પડતા હોવ છો.તમે જેને પોતાના ગણતા હોવ, તેઓ જ જ્યારે તમારી વિરુદ્ધ ઉગ્ર બની તમને ન કહેવાનું કહેતા હોય ત્યારે તમે દુ:ખી થઈ જાવ છો,ભગ્નહ્રદયી બની જાવ છો,રડી પડો છો અને તમારું હૈયું આક્રંદ પોકારી ઉઠે છે.તમે કહો છો આજે મારો મૂડ ખરાબ છે.આવું ઘણી વાર બનતું હોય છે અને આવી સામાન્ય બાબતમાંથી બહાર આવી જીવનમાં આગળ વધવાનું આપણા માટે ખૂબ આકરું થઈ પડતું હોય છે. ખૂબ આકરું. બરાબર?

હવે અહિં આ એક માણસ છે જે વિશ્વકપ ક્રિકેટની એક મેચની છેલ્લી ઓવરમાં થર્ડમેન બાઉન્ડરી પર ઉભો છે.બોલરે આ મેચ જીતવા ફક્ત થોડા ધ્યાનથી 'સેન્સિબલ' બોલ નાંખવાનો છે.અને આ બાઉન્ડરી પર ઉભેલો માણસ શું જુએ છે?બોલર કોઈ જાતના ફોકસ કે આયોજન કે પસ્તાવાની લાગણી વગર ચોક્કો જાય તેવા ખરાબ બોલ નાંખે છે.બાઉન્ડરી વાળા પેલા ખેલાડીએ બધું બરાબર કર્યું હોવા છતાં ફરી એક વાર ભારત આ મેચ હારી જાય છે. પણ આ માણસ રડતો નથી.તે કોઈ જ પ્રકારની લાગણી પણ પ્રદર્શિત કરતો નથી.ફક્ત પોતાનું મસ્તક નત રાખીને મેદાન છોડે છે.તે આવી નિષ્ફળતાઓ ૨૨ વર્ષથી જોતો આવ્યો છે.અને આ નિષ્ફળતા તેનાં વર્ગનાં કેટલાક વિદ્યાર્થીઓએ જ કે ફક્ત તેના મિત્રો અને સ્નેહીસગાઓએ જ નથી જોઈ પણ આખું વિશ્વ તેનું સાક્ષી બન્યું છે.આપણે કદાચ તે વ્યક્તિના મન અને હ્રદયમાં શું ચાલી રહ્યું છે તે સમજી શકવા જેટલા પરિપક્વ નથી.આથી જ હું ક્યારેય 'સચિન' (તેંડુલકર) બનવા નથી ઇચ્છતો.

એ ખરું છે કે તેણે એકલે હાથે આપણા સમગ્ર દેશનો મૂડ અનેક વાર સુધારી નાંખ્યો છે.તેણે લાખો લોકોને સામાન્યમાંથી અસામાન્ય બનવાની પ્રેરણા આપી છે.હજારો લોકો પોતપોતાના ધંધા-વ્યવસાય કે કારકિર્દીમાં સફળ હશે પણ તેમાંથી કોઈ આ મહાન ખેલાડીની તોલે આવી શકે એમ નથી.તેની ધગશ,નિષ્ઠા અને માનસિક તાકાત બેજોડ છે.ફરી એક વાર કેટલાક ચોક્કસ લોકો ગઈ કાલે રાતે સચિનની સદી છતાં ભારતની દક્ષિણ આફ્રિકા સામે હાર થવાથી સચિન સામે હસ્યા હશે પણ આ લોકો તો છીછરા છે,વામણા છે.તેમને બીજાઓની મશ્કરી કરવા સિવાય બીજું કંઈ જ આવડતું નથી.આ લોકો કૂવામાંના દેડકા જેવા છે જેઓ માને છે કે તેમણે આખો મહસાગર જોયો છે પણ વાસ્તવમાં તેમણે પોતાની મર્યાદિત, સંકુચિત જગા સિવાય બીજું કંઈ જ જોયું નથી હોતું.

સચિન વિષે વિચાર કરો.તેની ઉંમર હાલમાં ૨૦૧૧માં ૩૭ વર્ષની છે.તે સતત છેલ્લા ૨૨ વર્ષથી ક્રિકેટ રમી રહ્યો છે.પણ હજુ ગઈ કાલે રાતે એ જે રીતે ફિલ્ડ પર ભાગી અને કૂદી રહ્યો હતો એ ૨૨ વર્ષના જુવાનિયાને પણ શરમાવે એવું હતું.વિશ્વનો તે એક માત્ર ખેલાડી છે જેણે 'ઓપનિંગ ક્વિકીસ' રમત જોનારના શ્વાસ થંભાવી દે એટલી શ્રેષ્ઠ રીતે રમી હોય! તે દિવસે ને દિવસે પોતાની રમતમાં વધુ બહેતર થતો જાય છે.લોકો તેને અમસ્તો જ 'ક્રિકેટનો ભગવાન' નથી કહેતાં.

પણ છતાં મારે સચિન નથી બનવું.આપણે આપણું એકવિધતા ધરાવતું નિરસ જીવન સરળતાથી ટકી રહે એ માટે સંઘર્ષ કરવો પડે છે,એવું જીવન જેનાથી ખૂબ ઓછા લોકો પ્રભાવિત થાય છે.વિચાર કરો તેણે કેટલા મોટા આંતરિક સંઘર્ષમાંથી પસાર થવું પડતું હશે,શારીરિક અને માનસિક બન્ને પ્રકારની કેટલી વેદના,સમયની સાથે થીજી ગયેલાં અશ્રુઓ,ઘૂંટણ અને કોણીઓ અને શરીરના બીજા દરેકેદરેક સાંધા કાં તો પાટાપિંડી કરેલા હોય અથવા દરેક રાતે તેમાં અસહ્ય દુખાવો થતો હોય,આંખો જે દરેક મોટી રમત પહેલા સૂઈ શક્તી નથી,બેટ્સ જેણે ૯૯ ઇન્ટરનેશનલ સદીઓ ફટકારી છે અને જેની પાસે હજી અબજો લોકોને ઘણી ઘણી અપેક્ષાઓ છે.

અને એ આ બધી અપેક્ષાઓને વાસ્તવિક્તામાં ફેરવી નાંખે છે.આપણે મંત્રમુગ્ધ થઈ તેને જોઇએ છીએ,ગર્વ અનુભવીએ છીએ.પણ મને હવે થાય છે કે બસ,હવે તેની ટીમે સમજી જવું જોઇએ કે હવે બહુ થયું.તેમના માથે મોટું રૂણ છે,ફક્ત દેશ માટેનું નહિં,પણ સચીન માટે.એમણે હવે સચિન માટે થઈને જીતવાનું છે.ખાતરી રાખો કે એ પોતે તો શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરશે જ અને ભારત આ કપ જીતે એ માટે પોતાના તરફથી કોઈ કસર નહિં છોડે.એના માટે આ ફક્ત એક રમત નથી અને તે પોતે માત્ર એક રમતવીર નથી.એના કરતાં કંઈક વિશેષ છે.શબ્દો અહિં ઓછા પડે છે...


('ઈન્ટરનેટ પરથી')